વ્યક્તિ ત્યારે જ હકારાત્મક વિચારો વિના કંગાળ બને છે, જયારે તે જીવનના પાઠ સરખા શીખતો નથી. જે શીખી જાય છે, એ કોઈ ફરિયાદ કરતુ નથી, પણ એ જીવન પાસેથી મળેલી શિખામણ લઈને આગળ વ્યક્તિ વધતી જાય છે. સુખ હોય કે દુઃખ, સમય આવ્યે જતું રહે છે. કહેવત છેને દાયકો દુઃખ તો દાયકો સુખ. વ્યક્તિ સુખમાં હોય એટલે કોઈ મોટિવેશનની જરૂર નથી પડતી. પણ જેવું દુઃખ આવે, એટલે મોટિવેશનના કોથળા ભરવા માંડે છે. જેમ સુખ પચાવી શકાય, એમ દુઃખ પણ સમય આવ્યે ચાવવાની હિંમત હોવી જોઈએ. બીજા તો શિખામણ આપશે. પણ પોતાનું જીવન વ્યક્તિએ જાતે જ જીવવું પડે. વાઘ જયારે હરણ તરફ તેનો શિકાર કરવા ભાગે છે, ત્યારે વાઘથી બચવા હરણ બમણું દોડવા પ્રયત્નો કરશે.
આપણા બાપા દાદા વખતે કોઈ સ્પીકર્સ નહોતા. છતાંય દુકાળ, ને ભૂકંપ, ને પૂર જેવી આપત્તીઓનો વટથી સામનો કરેલો, ભૂખ્યા રહેલા, પાણી માં પલાળીને રોટલો ખાધેલો.
ને ચડ્ડીઓમાં 15-20 તો થીંગડા મરેલા. અને આજે પણ એમના જીવનના કિસ્સા હરખ થી કહે છે આપણને, વિચારો.... સાચા મોટિવેશનલ ઘરમાં જ છે. બાળકને હંમેશા સંઘર્ષમાં જ રાખવું, ભલે ને બધું જ સુખ સાહ્યબી હોય, બધી સગવડ આપી ને, ઈચ્છાઓ તરત જ પુરી કરીને જીવનની ખરી મજા છીનવી લઈએ છીએ,સુખમાં ને દુઃખમાં બેલેન્સ કેવી રીતે રખાય એ શીખવાડવું જોઈએ. જેથી કોઈ સ્પીકર્સની જરૂર જ ના પડે.