કનડા નો કહેર : મેંદરડા ગીર, જૂનાગઢ
મેંદરડા - જૂનાગઢ ના રસ્તે આવતાં ગાડામાં ભરેલાં કપાયેલાં માથાં કોનાં હતાં..???
જુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી.
પરંતુ ગાડામાં ભરેલો સામાન કાંઇક અલગ જ પ્રકારનો હતો.
ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ-તરબોળ કરી રહ્યું હતું, ત્યારે 80થી પણ વધારે ધડ વગરના એ શીશ હતા કોના ?
એ શીશ હતા મહીયા રાજપૂત શુરવીરોના.
જુનાગઢના મહીયા રાજપૂતોઓએ અંગ્રેજ હકુમત દ્વારા જમીન ઉપરનો મહેસુલી કરના વિરોધમાં મહીયા રાજપૂતો સત્યાગ્રહ પર બેઠા હતા.
આ રાજપૂતોને અંગ્રેજ હકુમતના શાસન દરમિયાન જુનાગઢના નવાબની ફોજે દગાબાજીથી મહીયા રાજપૂતોના શુરવીરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને માથાવાઢી ગાડા ભરીને જુનાગઢ લઈ જવાયા હતા.
સમગ્ર દેશમાં અંગ્રેજ સરકાર દ્વારા મહેસુલી કર વસુલવાના નિયમ સામે દેશનો આ પહેલો સત્યાગ્રહ હતો, જેમાં 80 જેટલા મહીયા રાજપૂત સમાજના નરબંકા યુવાનોને જુનાગઢ નવાબની ફોજે કાવતરું ઘડી દગાથી તલવારબાજી અને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
જલીયાવાલા બાગ પહેલાનો દેશનો આ પ્રથમ હત્યાકાંડ જુનાગઢના પાદર સમા ગણાતા કનડા ડુંગર ઉપર 28 જાન્યુઆરીની 1883ની વહેલી સવારે થયો હતો.
ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા સ્થળો છે, કે જ્યાં એક સાથે આટલી મોટી સંખ્યામાં શહિદોની ખાંભીઓ જોવા મળે છે.
કનડા ડુંગરની ટોચે 80થી પણ વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ નિશાની છે એ મહીયા રાજપૂતોના વીર શહિદોના શહાદતની અને તેમની વિરતાને ને રંગ છે.
>> 1882માં સૌરાષ્ટ્રના કનડા ડુંગર પર એક હત્યાકાંડ થયો હતો. સોએક મહિયા લડવૈયાઓને દગાથી મારી નખાયાં હતાં !'
-----
કનડો ડુંગર વીર-વીરાંગનાના પ્રેમનું, ચિરવિજોગનું જ ધામ નથી; કનડાના ખોળામાં સિંદૂરવરણી ચોરાસી ખાંભીઓ ઊભી છે. એ ચોરાસી મહિયાઓની ખાંભી છે. સવંત્સર 1939ના પોશ મહિનાની અજવાળી પાંચમને કાળે પરોઢિયે એ ચોરાસી જણાને હારબંધ બેસારી જૂનાગઢ રાજની ફોજે તેઓનાં માથાં વાઢ્યાં હતાં – તરવારથી નહિ, કુહાડા વતી.
ઘિંગાણું નહોતું થયું; વિશ્વાસઘાત અને દગલબાજી રમાયાં હતાં.
જૂનાગઢ રાજની રક્ષા તેમ જ વિસ્તારને માટે પેઢાનપેઢીથી જાન કાઢી આપનારી મહિયા કોમ પર રાજ્યે જતે દહાડે નવા લાગા નાખ્યા, જૂના કોલકરારો ઉથાપ્યા, ત્યારે મહિયા કોમના ઘરેઘરથી નીકળેલા નવસો પ્રતિનિધિ મરદો આ કનડા ડુંગર પર રિસામણે ચડેલા.
આપણે આજે જેને `અહિંસાત્મક સંગ્રામ’ કહીએ છીએ ને, તેને તે દિવસોમાં મહિયાઓએ ભજવી બતાવ્યો. એનું નામ `રિસામણું’ અથવા `બેઠું બહારવટું રખાયું હતું. મહિયાઓના આગેવાને એક પણ હથિયાર ભેળું રાખવાની રામદુવાઈ ફરમાવી હતી.