કથા સાંભળવા મળે એ તો એક ખૂબ જ સારા નસીબની વાત છે. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં એક જ જગ્યાએ બેસીને કથાનું શ્રવણ કરવું એ લગભગ અશક્ય છે. પરંતુ કામ કરતા કરતા પણ સાંભળવા મળે તો સાંભળી લેવું.
શ્રી મોરારિ બાપુ, શ્રી રમેશભાઈ ઓઝા, શ્રી શિવાનંદગિરીબાપુ, ચિત્રલેખાજી, શ્રી વ્રજલાલજી અને બીજા ઘણાં બધા કથાકાર છે જેમની કથા સાંભળવી એ પણ એક લ્હાવો છે.
પહેલાંના સમયમાં કથા એટલે કથાકાર કથા કહે અને શ્રોતાઓ સાંભળે. આજે કથાને આધુનિકતાનો રંગ ચઢ્યો છે. નૃત્ય અને સંગીતે કથામાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
પહેલાંના સમયમાં શ્રોતાઓ કથા સાંભળીને પ્રસાદ લઈને ઘરે જતા રહેતાં હતાં, હવે બપોરે અને સાંજે એમ બે વખત જમવાનું પ્રસાદ તરીકે આપવામાં આવે છે.
જેમ કથા સાંભળવા જનાર બધા જ ખરેખર કથા સાંભળતા નથી હોતા, કેટલાંક તો માત્ર એકબીજાને સાથ આપવા માટે જ જતા હોય છે એમ આજની પેઢીનાં યુવાનો અને બાળકોને માતા પિતા કે વડીલો દ્વારા આપેલાં સલાહ સૂચનો કે માર્ગદર્શન કથા સમાન લાગે છે. કેટલાંક બાળકો તો કહી પણ દે છે કે તમારી આ રોજ રોજની કથા બંધ કરો.
કહેવાય છે કે જો તમે સાચા મનથી કથાનું શ્રવણ કરો તો એ ભગવાનની ભક્તિ કર્યા બરાબર જ છે. સવાર સાંજ જમવાનું મળશે અને ઘરે બનાવવું ન પડે એવા વિચારો સાથે કથા સાંભળવા જાઓ તો એનો કોઈ જ અર્થ નથી. કેટલાય લોકોને જોયા છે જે કથા સાંભળવા જાય છે પણ ધ્યાન તો મોબાઇલમાં અને આજુબાજુવાળા સાથે વાત કરવામાં જ હોય છે. જેવી એમનાં કાને સુચના સંભળાશે કે જમવાનું શરુ થઈ ગયું છે કે તરત જ કથામાંથી એ રીતે ઊઠશે અને ભાગશે કે જાણે દોડવાની રેસમાં ભાગ ન લીધો હોય!
અંતે એટલું જ કહીશ કથા એટલે સદગુણો અને સદાચાર કેવી રીતે કરવું એની સમજ મેળવવાનું સૌથી સરળ માધ્યમ. એને માત્ર સાંભળવાને બદલે જીવનમાં અમલ કરવો પણ જરુરી છે, કદાચ ઘણાં ઘર તૂટતાં બચી જશે.
#કથા