#મારું_હિંમતનગર
હિંમતનગરની સ્થાપના ઇ.સ. ૧૪૨૬માં ગુજરાત સલ્તનતના સુલતાન અહમદ શાહ પ્રથમે અહમદનગર તરીકે કરી હતી. ઇડરના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાને આ નગરની સ્થાપના કરી હતી. એવું કહેવાય છે કે તેને આ નગર અત્યંત પસંદ હતું અને અમદાવાદની જગ્યાએ હિંમતનગરને ગુજરાતનું પાટનગર બનાવવું વિચારેલું. ઇ.સ. ૧૭૨૮માં જ્યારે ઇડર રાવ વંશના હાથમાં ગયું પછી તરત જ અહમદનગર તેમના શાસન હેઠળ આવ્યું. ૧૭૯૨માં મહારાજા શિવસિંહના મૃત્યુ પછી તેમના ભાઇ સંગ્રામસિંહે અહમદનગર અને તેની આજુ-બાજુના પ્રદેશો પર કબ્જો જમાવ્યો અને તેના ભત્રીજા ગંભીરસિંહના પ્રયત્નો છતાં સ્વતંત્ર રાજા બન્યો. સંગ્રામસિંહ પછી તેનો પુત્ર કરણસિંહ સત્તા પર આવ્યો. ૧૮૩૫માં તેનું મૃત્યુ થયું અને તેની રાણીને સતી થતી રોકવા માટે બ્રિટિશ એજન્ટે સૈન્યની મદદ લીધી. રાજાના પુત્રોએ પોતાની પ્રથામાં વચ્ચે ન પડવા માટે બ્રિટિશ એજન્ટને યાચના કરી. બ્રિટિશ એજન્ટ સાથે સતી પ્રથા અટકાવવા અને મંત્રણા કરવાની સાથે તેમણે ભીલ અને અન્ય આદિવાસીઓને રાત્રે બોલાવ્યા અને કિલ્લાની નદી તરફની દિવાલો ખૂલ્લી મૂકીને રાણીઓ ત્યાં સતી થઇ. મહારાજાના પુત્રો નાસી છૂટ્યા, પરંતુ છેવટે બ્રિટિશરો સાથે સંમતિ દર્શાવી અને તખ્તસિંહ ગાદી પર આવ્યા. થોડા સમય પછી તેઓએ જોધપુર રજવાડાની બિન વારસ પડેલી ગાદી સંભાળી. તેમણે અહમદનગર પર સત્તા રાખવાનો પ્રયત્ન કર્યો પણ ૧૮૪૮માં લાંબી મંત્રણાઓ પછી અહમદનગર ઇડર રાજ્યમાં આવ્યું. ૧૯૧૨માં શહેરનું નામ ઇડરના મહારાજા સર પ્રતાપ સિંહ દ્વારા તેમના પુત્ર કુંવર હિંમત સિંહ પરથી હિંમતનગર રાખવામાં આવ્યું. બ્રિટિશ શાસન દરમિયાન હિંમતનગર મહી કાંઠા એજન્સીમાં હતું, જે પછીથી પશ્ચિમ ભારત સ્ટેટ્સ એજન્સી બન્યું.
૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ઇડર રાજ્ય ભારતમાં ભળી ગયું. ૧૯૪૭થી ૧૯૫૬ સુધી હિંમતનગર ઇડર જિલ્લામાં હતું. ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનું તે સૌથી મોટું શહેર અને વડું મથક હતું. ૧૯૬૧થી તે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો ભાગ બન્યું.
#જન્મ