સ્થિતિપ્રજ્ઞતા શીખવે છે કૃષ્ણ...
સ્થિતપ્રજ્ઞતા આ શબ્દ સાંભળતાં જ આપણને કૃષ્ણ યાદ આવે અને એની સાથે તમામ બુદ્ધ પુરુષો, સાધુ-સંતો બધાં જ. આપણા મનમાં એક ગ્રંથી છે કે સ્થિતિપ્રજ્ઞતા એ તો કોઈ સંન્યાસી કે ત્યાગીનાં ગુણ, સંસારી વ્યક્તિઓનાં નહીં પણ એ ભૂલી જઈએ છીએ કે સંન્યાસી અને સંસારી આખરે માણસ જ છે તો ગુણ પણ સમાન જ હોવાના. હા, સંસારીઓ માટે આ થોડું અઘરું છે પણ ન થઈ શકે એવું પણ નથી જ. ગીતાનાં પહેલાં અધ્યાયમાં અર્જુન આપણને આપણી જેમ જ વિષાદ કરતો જણાય છે અને બીજા અધ્યાયમાં કૃષ્ણ એને આવું જ કંઈક સમજાવતાં જોવા મળે છે. ગીતા જ્ઞાન આવે એટલે ફરી આપણને બધું અઘરું લાગે પણ આપણા જીવનને સહેલું કરનાર મારા મતે તો ગીતા જ છે. યુ ટ્યુબ ઉપર બીજા અધ્યાયના આધારિત સ્થિતપ્રજ્ઞતા નામની એક નાની અમસ્તી ફિલ્મ બની છે. ઇન્ડિયન એવોર્ડ વિનિંગ ફિલ્મ છે. મા દીકરા ઉપર આધારિત છે. જ્યારે મા સગર્ભા હોય છે ત્યારે ગીતાના બીજા અધ્યાય આધારિત નાટક જોઈએ છે અને કહે છે મારો દીકરો પણ આવો જ હોય સ્થિતિપ્રજ્ઞ અને ભગવાન એની મનોકામના પૂરી કરે છે. ફિલ્મ જોવા જેવી ખરી! કોઈ પણ પરિસ્થિતિમાં મન અને મગજની લડાઈમાં મનની જીત થવી જરૂરી છે. કારણ આત્મા માંથી આવતો અવાજ હંમેશા સાચો હોય છે અને મગજ ઘણા તર્ક વિતર્ક સર્જયા કરતું હોય છે. આજના આધુનિક યુગમાં ઝડપી જીવન જીવનારા.. આપણાં અને આપણાં બાળકોનાં મનની શાંતિ ખૂબ જરૂરી છે એથી સ્થિતપ્રજ્ઞતા શીખવી અને શીખવવી પણ ખૂબ જરૂરી છે. પહેલાં તો આપણે શીખવાનું છે. આજના માતા પિતાઓનો એમનાં બાળકો ઉપર નાની નાની બાબતોમાં ગુસ્સો કરવો, એમને ન સમજવા અને એથી એમને માઠું લાગવું, સામો પ્રતિકાર કરવો, ઘર છોડી જતાં રહેવું, આત્મહત્યા કરવી આ બધું હવે રોજબરોજ સંભળાતું હોય એવું લાગે છે. હમણાં આ કપરા સમયમાં આપણે માનસિક તણાવ સાથે રીતસરની લડાઈ કરી. આપણે આપણાં મગજને શાંત કરી મનને તંદુરસ્ત રાખવા શીખવું જ પડશે અને મને ગમતો રસ્તો છે, "ભગવદગીતા". ઘણા પુસ્તકો વાંચ્યા મારામાં ખરેખર અનુભવી શકાય એવા સકારાત્મક બદલાવો પણ થયાં. પરંતુ દરેક માણસના જીવનમાં ઘણાં એવા પ્રશ્નો હોય છે જેના ઉત્તર નથી મળતાં. કારણ એક જ કે એને સાચી દિશામાં શોધવામાં નથી આવતા. મારા મોટાભાગના ઉત્તર મને કૃષ્ણે આપ્યા છે. મેં પહેલા ગીતા સાંભળી છે પછી વાંચવાનો પ્રયાસ આરંભ્યો છે. હું વાંચું છું. સમજુ છું. એના ઉપરથી વાર્તા બનાવી મારા દીકરાને કહું છું અને એને પણ ધીમે ધીમે ગીતા વાંચવાની ટેવ પાડી રહી છું. એક મા તરફથી આ જીવન અમૂલ્ય ભેટ મારે આપવી છે મારા દીકરાને ગીતાનું સાચું જ્ઞાન. આત્મનિર્ભર બનતાં આપણે જ શીખવું પડશે. આપણામાં અને આજની પેઢીમાં એક વસ્તુ સરખી છે ધીરજની ખોટ. આપણા વડીલો પાસે આ ધીરજ અખૂટ હતી. કૃષ્ણ જેવી સ્થિતિપ્રજ્ઞતા તો ક્યાંથી લાવી શકીએ? પરંતુ આપણે પણ કૃષ્ણ દ્વારા સ્થિતિનો સામનો, સ્વીકાર અને સ્થિર મન બનાવવાની કોશિશ તો કરી જ શકીએ.
"જે લોકો સત્યને પણ તોછડી, કર્કશ, કડવી ભાષા બોલે છે તે સત્ય બોલવા છતાં પણ સ્થિતિપ્રજ્ઞ ન કહેવાય. સત્ય મહાન છે. પણ તેને પણ વિનય વિવેક ની મર્યાદા હોવી જોઈએ. (સ્વામી સચ્ચિદાનંદ/ગીતાજીનું ચિંતન).
- કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"