ભુજ તાલુકાનાં ચપરેડી ગામનું ભુકંપ બાદ નવસર્જન તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજી દ્રારા કરવામાં આવ્યું, અને નવું *અટલનગર* અસ્તિત્વમાં આવ્યું...
વાજપેયીજી સ્વર્ગસ્થ થતાં આ ગામનાં એક એક જણની આંખો આંસુ હતા...
છંદ હરિગીતમાં
છે આત્મા તારી અમર બીજા શરીરે શોભશે
ભગવાન થઈને ભારતે લાખો લલાટે ઓપશે
તુજ વિણ માતા ભારતીને લાડ કોણ લડાવશે
ચિક્કાર ચપરેડી અટલનાં જાપ જીભે જાપશે
ભૂકંપ ભેરી વેદના જનમી હશે તે પી જશે
કો' ચીસ સુણી બાળની બેબાકળો દોડી જશે
સંભાળ જનની જેમ કો' અદ્ભુત રાજા રાખશે
ચિક્કાર ચપરેડી અટલનાં જાપ જીભે જાપશે
જમદુત ઝાઝા જોરથી દેકાર દઈને નાચશે
વિયોગ વહમા વીરનાં બેની કરે શું બાંધશે ?
બાહોશ કાળી નાગને કો' નાથ થઈને નાથશે ?
ચિક્કાર ચપરેડી અટલનાં જાપ જીભે જાપશે
રૂઠે જગતનો નાથ નેતો આ કદી ના રૂઠશે
ઉઠે ભલે અરથી પરંતું એ કદી ના ઉઠશે
કોને હવે આંસુ અમારા સાવ ખારા ભાવશે ?
ચિક્કાર ચપરેડી અટલનાં જાપ જીભે જાપશે
ઓછું કરી અંતર જગતથી કચ્છડાનું ક્યાં જશે ?
માહીર છો આહીરથી છેટો અટલ તું ક્યાં જશે
તુજ વિણ સંસદને કવિતા કોણ નર સુણાવશે ?
ચિક્કાર ચપરેડી અટલનાં જાપ જીભે જાપશે
- માવજી એમ આહીર ( ડગાળા - કચ્છ ) 🌱