The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જ્યારે રામ દરબારમાં મેઘનાદનું કપાયેલું મસ્તક ખડખડાટ હસી પડ્યું! 🚩 સુલોચના વાસુકીનાથની પુત્રી અને લંકાના રાજા રાવણના પુત્ર મેઘનાદની પત્ની હતી. લક્ષ્મણ સાથે થયેલા ભયંકર યુદ્ધમાં મેઘનાદનો વધ થયો. તેના કપાયેલા મસ્તકને ભગવાન શ્રી રામના શિબિરમાં લાવવામાં આવ્યું હતું. પોતાના પતિના મૃત્યુના સમાચાર મળતાં સુલોચનાએ પોતાના સસરા રાવણને રામ પાસે જઈને પતિનું મસ્તક લાવી આપવા વિનંતી કરી, પરંતુ રાવણ આ માટે તૈયાર ન થયો. તેણે સુલોચનાને કહ્યું કે તે પોતે રામ પાસે જઈને મેઘનાદનું મસ્તક લઈ આવે, કારણ કે રામ પુરુષોત્તમ છે. તેથી તેમની પાસે જવામાં તારે કોઈ પણ પ્રકારનો ભય રાખવો ન જોઈએ. રાવણના મહાપરાક્રમી પુત્ર ઇન્દ્રજીત મેઘનાદનો વધ કરવાની પ્રતિજ્ઞા લઈને લક્ષ્મણ જે સમયે યુદ્ધભૂમિમાં જવા તૈયાર થયા, ત્યારે રામ તેમને કહે છે— "લક્ષ્મણ! રણભૂમિમાં જઈને તું તારી વીરતા અને રણ-કૌશલથી રાવણપુત્ર મેઘનાદનો વધ કરી દઈશ, તેમાં મને કોઈ શંકા નથી. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે મેઘનાદનું મસ્તક જમીન પર કોઈ પણ પ્રકારે ન પડે, કારણ કે મેઘનાદ એક નારી વ્રતનો પાલક છે અને તેની પત્ની પરમ પતિવ્રતા છે. આવી સાધ્વીના પતિનું મસ્તક જો પૃથ્વી પર પડી જશે તો આપણી આખી સેનાનો વિનાશ થઈ જશે અને આપણે યુદ્ધમાં વિજયની આશા છોડી દેવી પડશે." લક્ષ્મણ પોતાની સેના લઈને ઉપડી ગયા. રણભૂમિમાં તેમણે એવું જ કર્યું. યુદ્ધમાં પોતાના બાણોથી તેમણે મેઘનાદનું મસ્તક કાપી નાખ્યું, પણ તેને પૃથ્વી પર પડવા ન દીધું. હનુમાન એ મસ્તકને રઘુનંદન પાસે લઈ આવ્યા. મેઘનાદનો જમણો હાથ આકાશમાં ઉડતો તેની પત્ની સુલોચના પાસે જઈને પડ્યો. સુલોચના આશ્ચર્યચકિત થઈ ગઈ. બીજી જ ક્ષણે અત્યંત દુઃખથી વ્યાકુળ થઈને વિલાપ કરવા લાગી, પણ તેણે હાથને સ્પર્શ કર્યો નહીં. તેણે વિચાર્યું, "શક્ય છે કે આ હાથ કોઈ અન્ય વ્યક્તિનો હોય. આવી સ્થિતિમાં પરપુરુષના સ્પર્શનો દોષ મને લાગશે." નિર્ણય કરવા માટે તેણે હાથને કહ્યું, "જો તું મારા સ્વામીનો હાથ હોય, તો મારા પતિવ્રતાપણાની શક્તિથી યુદ્ધનો તમામ વૃત્તાંત લખી દે." દાસીએ હાથમાં કલમ પકડાવી દીધી. કલમે લખી દીધું, "પ્રાણપ્રિય! આ હાથ મારો જ છે. યુદ્ધભૂમિમાં શ્રીરામના ભાઈ લક્ષ્મણ સાથે મારું યુદ્ધ થયું. લક્ષ્મણે ઘણા વર્ષોથી પત્ની, અન્ન અને નિંદ્રાનો ત્યાગ કર્યો છે. તેઓ તેજસ્વી તેમજ સમસ્ત દૈવી ગુણોથી સંપન્ન છે. સંગ્રામમાં તેમની સામે મારું કાંઈ ન ચાલ્યું. અંતે તેમના જ બાણોથી વીંધાઈ જવાથી મારો પ્રાણાંત થયો. મારું મસ્તક શ્રીરામ પાસે છે." પતિના હાથ દ્વારા લખાયેલી પંક્તિઓ વાંચતા જ સુલોચના વ્યાકુળ થઈ ગઈ. પુત્રવધૂના વિલાપને સાંભળીને લંકાપતિ રાવણે આવીને કહ્યું, "શોક ન કર પુત્રી! સવાર થતાં જ હજારો મસ્તકો મારા બાણોથી કપાઈ-કપાઈને પૃથ્વી પર લોટવા લાગશે. હું લોહીની નદીઓ વહાવી દઈશ." કરુણ ચીસ પાડતી સુલોચના બોલી, "પણ આનાથી મને શો લાભ થશે પિતાજી? હજારો નહીં, કરોડો મસ્તકો પણ મારા સ્વામીના મસ્તકની ખોટ પૂરી કરી શકશે નહીં." સુલોચનાએ નિશ્ચય કર્યો કે મારે હવે સતી થઈ જવું જોઈએ. પરંતુ પતિનો દેહ તો રામદળમાં પડ્યો હતો, પછી તે કેવી રીતે સતી થાય? જ્યારે પોતાના સસરા રાવણને તેણે પોતાનો મનોરથ જણાવીને પોતાના પતિનો દેહ મંગાવવા માટે કહ્યું, ત્યારે રાવણે ઉત્તર આપ્યો, "દેવી! તું પોતે જ રામદળમાં જઈને તારા પતિનો દેહ પ્રાપ્ત કર. જે સમાજમાં બાલ બ્રહ્મચારી હનુમાન, પરમ જિતેન્દ્રિય લક્ષ્મણ તથા એકપત્નીવ્રતી ભગવાન શ્રીરામ વિરાજમાન છે, તે સમાજમાં તારે જવાથી ડરવું ન જોઈએ. મને વિશ્વાસ છે કે આ વંદનીય મહાપુરુષો દ્વારા તને નિરાશ કરવામાં નહીં આવે." સુલોચનાના આવવાના સમાચાર સાંભળતાં જ શ્રીરામ ઊભા થઈ ગયા અને પોતે ચાલીને સુલોચના પાસે આવ્યા અને બોલ્યા, "દેવી! તમારા પતિ વિશ્વના અજોડ યોદ્ધા અને પરાક્રમી હતા. તેમનામાં ઘણા સદ્ગુણો હતા, પરંતુ વિધાતાના લેખને કોણ બદલી શકે? આજે તમને આ રીતે જોઈને મારા મનમાં પીડા થઈ રહી છે." સુલોચના ભગવાનની સ્તુતિ કરવા લાગી. શ્રીરામે તેને વચમાં જ અટકાવતાં કહ્યું, "દેવી, મને લજ્જિત ન કરો. પતિવ્રતાની મહિમા અપરંપાર છે, તેની શક્તિની સરખામણી થઈ શકે નહીં. હું જાણું છું કે તમે પરમ સતી છો, તમારા સતીત્વથી તો વિશ્વ પણ ધ્રૂજે છે. તમારા અહીં આવવાનું કારણ જણાવો જેથી હું તમારી કઈ રીતે સહાયતા કરી શકું?" સુલોચનાએ અશ્રુભીની આંખોથી પ્રભુ તરફ જોયું અને બોલી, "રાઘવેન્દ્ર! હું સતી થવા માટે મારા પતિનું મસ્તક લેવા માટે અહીં આવી છું." શ્રીરામે તરત જ સસન્માન મેઘનાદનું મસ્તક મંગાવ્યું અને સુલોચનાને સોંપી દીધું. પતિનું કપાયેલું મસ્તક જોતાં જ સુલોચનાનું હૃદય અત્યંત દ્રવી ઊઠ્યું. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. રડતાં-રડતાં તેણે પાસે ઊભેલા લક્ષ્મણ તરફ જોયું અને કહ્યું, "સુમિત્રાનંદન! તમે ભૂલથી પણ ગર્વ ન કરતા કે મેઘનાદનો વધ મેં કર્યો છે. મેઘનાદને ધરાશાયી કરવાની શક્તિ વિશ્વમાં કોઈની પાસે ન હતી. આ તો બે પતિવ્રતા નારીઓનું ભાગ્ય હતું. આપના પત્ની પણ પતિવ્રતા છે અને હું પણ પતિના ચરણોમાં અનુરાગ રાખનારી તેમની અનન્ય ઉપાસિકા છું, પરંતુ મારા પતિદેવ પતિવ્રતા નારીનું અપહરણ કરનારા પિતાનું અન્ન ખાતા હતા અને તેમના માટે જ યુદ્ધમાં ઉતર્યા હતા, એટલા માટે જ મારા પતિ પરલોક સીધાવ્યા." તમામ યોદ્ધાઓ સુલોચનાને રામ શિબિરમાં જોઈને આશ્ચર્યચકિત હતા. તેઓ એ સમજી નહોતા શકતા કે સુલોચનાને કેવી રીતે ખબર પડી કે તેના પતિનું મસ્તક ભગવાન રામ પાસે છે. જિજ્ઞાસા શાંત કરવા માટે સુગ્રીવે પૂછી જ લીધું કે આ વાત તેમને કેવી રીતે ખબર પડી કે મેઘનાદનું મસ્તક શ્રીરામના શિબિરમાં છે? સુલોચનાએ સ્પષ્ટતાથી બતાવી દીધું, "મારા પતિનો હાથ યુદ્ધભૂમિમાંથી ઊડતો મારી પાસે આવ્યો હતો, તેણે જ લખીને મને બતાવી દીધું." વ્યંગ ભરેલા શબ્દોમાં સુગ્રીવ બોલી ઊઠ્યા, "નિષ્પ્રાણ હાથ જો લખી શકતો હોય, તો આ કપાયેલું માથું પણ હસી શકે છે." શ્રીરામે કહ્યું, "નકામી વાતો ન કરો મિત્ર! પતિવ્રતાના મહાત્મ્યને તમે નથી જાણતા. જો તે ધારે તો આ કપાયેલું મસ્તક પણ હસી શકે છે." શ્રીરામનો મુખભાવ જોઈને સુલોચના તેમના ભાવો સમજી ગઈ. તેણે કહ્યું, "જો હું મન, વચન અને કર્મથી પતિને દેવ માનતી હોઉં, તો મારા પતિનું આ નિર્જીવ મસ્તક હસી ઊઠે." સુલોચનાની વાત પૂરી પણ નહોતી થઈ કે કપાયેલું મસ્તક મોટેથી હસવા લાગ્યું. આ જોઈને સૌ દંગ રહી ગયા. બધાએ પતિવ્રતા સુલોચનાને પ્રણામ કર્યા. સૌ પતિવ્રતાની મહિમાથી પરિચિત થઈ ગયા હતા. જતી વખતે સુલોચનાએ શ્રીરામને પ્રાર્થના કરી, "ભગવન! આજે મારા પતિની અંત્યેષ્ટિ ક્રિયા છે અને હું તેમની સહચરી તેમને મળવા જઈ રહી છું, તેથી આજે યુદ્ધ બંધ રહે." શ્રીરામે સુલોચનાની પ્રાર્થના સ્વીકારી લીધી. સુલોચના પતિનું મસ્તક લઈને પાછી લંકા આવી ગઈ. લંકામાં સમુદ્ર કિનારે ચંદનની ચિતા તૈયાર કરવામાં આવી. પતિનું મસ્તક ખોળામાં લઈને સુલોચના ચિતા પર બેઠી અને ધગધગતી અગ્નિમાં થોડી જ ક્ષણોમાં સતી થઈ ગઈ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser