શારિરીક તકલીફ કરતાં માનસિક તકલીફ વધુ કષ્ટદાયક હોય છે. શરીરને કંઈક વાગે કે અન્ય કોઈ તકલીફ પડે તો એનો ઈલાજ શક્ય છે, પરંતુ જેની માનસિક સ્થિતી નબળી છે એનો ઈલાજ ખૂબ જ મુશ્કેલ છે. કોઈનાં સમજવાથી પણ માનસિક બિમાર વ્યક્તિ સમજી શકતી નથી. કોઈનાં વિશે મનમાં એક વાર કોઈ ગ્રંથી બાંધી લીધી હોય પછી એમાંથી બહાર આવવું લગભગ અશક્ય બની જાય છે, જેમ કે આપણે ધારી લીધુ કે કોઈ વ્યક્તિ ખરાબ છે, એની સાથે રહેવામાં આપણને જ નુકસાન છે, તો એ વ્યક્તિ આપણે માટે ગમે એટલું સારું કરશે આપણી માનસિક સ્થિતી એને સ્વીકારી શકશે નહી.
જો એક તંદુરસ્ત વ્યક્તિની જ આવી હાલત હોય તો જે જન્મથીજ નબળી માનસિક સ્થિતી ધરાવે છે એનું શું થતુ હશે? એક તો એને પોતાને કશી સમજ પડતી ન હોય ઉપરથી બધા લોકો એને તિરસ્કારથી જોતાં હોય. એને પોતાને શું થાય છે એ પણ એ વર્ણવી શકતા નથી. ઘણી વાર કશી સમજણ ન પડતાં કે કોઈ કારણ વિના જ અચાનક તેઓ હિંસક બની જતા હોય છે. આવા માનસિક રોગીઓની સાથે થોડું પ્રેમથી વર્તન કરવું પડે. એમને સમજવાની કોશિશ કરવી પડે. હંમેશા એમને તિરસ્કારથી જોવાને બદલે થોડી સહાનુભૂતિ પણ બતાવવી પડે. સામાન્ય વ્યક્તિની જેમ તેઓ પણ પ્રેમનાં ભૂખ્યા હોય છે. થોડું જ ધ્યાન આપવાથી નબળી માનસિક સ્થિતી ધરાવતાં બાળકોને પણ આપણે કંઈક શીખવી શકીએ છીએ. આ માટે ઘણી બધી સંસ્થાઓ પણ પ્રયત્નશીલ છે જ.
આજનાં આ વિશ્વ માનસિક સ્વસ્થતા દિને એટલું જ કહેવા માંગું છું કે સામેવાળી વ્યક્તિની માનસિક સ્થિતિનો તાગ મેળવ્યા વગર એનાં વિશે કોઈ પણ અભિપ્રાય ન બાંધવા.
#માનસિક