બધાએ મહાત્મા બનવું છે, પણ કોઈએ આ દિશામાં પ્રયત્ન નથી કરવો. જયાં સુધી 'હું' વચ્ચે આવે છે ને ત્યાં સુધી મહાત્મા બનવું તો દૂર, એક સારા માણસ પણ બની શકાય એમ નથી. છૂટા હાથે દાન કરીને, ફોટા સોશિયલ મીડિયામાં મુકી દેવાથી મહાત્મા નથી બની જવાતું, એને માટે ધનદાન નહીં લાગણીઓનું દાન કરવું પડે. જેને મદદ કરીએ એની સાથે એનાં જેવું થઈને રહેવું પડે તો જ પેલી વ્યક્તિ નિઃસંકોચ મને તમારી મદદ સ્વીકારી શકે. બાકી બધાની ખબર નહીં પરંતુ એ વ્યક્તિ માટે તો તમે મહાત્મા બની જ જશો.
મહાત્મા ગાંધી બનવું હોય તો માત્ર એમનો અહિંસક રસ્તો જ નહીં, એમની સાદગી અને ઉચ્ચ વિચારોને પણ અપનાવવા પડે, જીવનમાં ઉતારવા પડે. 15 ઓગષ્ટ કે 26 જાન્યુઆરી કે 2જી ઓક્ટોબરનાં દિવસે ખાદી પહેરી એટલે મહાત્મા થઈ નથી જવાતું, એને આજીવન અપનાવવી પણ પડે.
મહાત્મા ગાંધીજી અને નહેરુજીનો વાંચેલો એક કિસ્સો યાદ આવે છે. એક વાર સાબરમતી આશ્રમમાં ગાંધીજીને માત્ર એક લોટો પાણી લઈને દાતણ કરતાં નહેરુજી જોઈ ગયા. એમણે બાપુને પુછ્યું,"સાબરમતીમાં આટલું બધું પાણી છે તો તમે માત્ર એક જ લોટો પાણી લઈને કેમ બેસો છો?" ત્યારે એ મહાત્માએ એમને જવાબ આપ્યો હતો,"તમે બધા લોટે લોટા પાણી વાપરો છો તો પણ મોં તો પલાળેલા હાથ વડે જ ધુઓ છો ને?"
આવા તો ઘણાંય કિસ્સાઓ છે જેણે એમને મહાત્મા બનાવ્યા છે.
#મહાત્મા