રાજકોટમાંથી કોરોના હવે પૂંછડી દબાવીને ભાગશે!
તબીબો, વૈજ્ઞાનિકો , ભૂવા ભારાડીઓ કે ગ્રામ્યના મોટા ફોલોઅર્સ ધરાવતા કહેવાતા લોક સાહિત્યકારો જે ન કરી શક્યા તે કામ પોલીસના કરામાતી હાથ કરી બતાવશે. કોરોનાના ફેલાવાનું કારણ જાણવા બીજાં જ્યારે ફાફા મારી રહ્યા છે ત્યારે રાજકોટની પોલીસને તેનો ઉપાય મળી ગયો છે . “કાનૂન કે હાથ લંબે હોતે હૈ બાબુ મોશાય”પોલીસને તેના બાતમીદારો પાસેથી કોરોનાના ફેલાવાનું કારણ મળી ગયું હોય કે ભગવાન જાણે સપનું આવ્યું હોય પણ પાન માવા તમાકુ બંધ કરાવવાથી કોરોના સંકટ નાશ પામશે તેવું પોલીસ મક્કમતાપૂર્વક માને છે. હા કારણ પાન માવાના થતાં કાળાબજાર રોકવાનું બતાવવામા આવે છે . પણ ભલા આપણે પણ સમજી શકીએ કે કોરોના રોકવાના કપરા કાળમાં કોઇ કાળા બજાર અટકાવવા ન જ દોડે. પણ પોલીસ પ્રજાની મિત્ર છે એમ માનીને આગળ વધીએ. (વળી પાછું એમ ન પૂછતા કે દુકાનદારો પ્રજા નથી? )
સમગ્ર ગુજરાતની પોલીસમાં એક માત્ર રાજકોટની પોલીસને આ બ્રહ્મજ્ઞાન લાધ્યુ છે કે,પાન તમાકુ માવા બીડી સિગારેટ કોરોનાનો ઉપદ્રવ વધારવામા કારણભૂત છે! તે બંધ કરાવવાથી કોરોના નાશ પામશે. ન રહેગી થૂંક પીચકારી ન રહેગા કોરોનાકા ફેલાવા. આ સમાચાર કોરોનાની ઝડપે વિશ્વભરમાં ફેલાઈ જતાં યુરોપીયન દેશોએ પોતાના શહેરોમાં પાન માવાની દુકાનો શરુ કરવા મોટાપાયે જાહેરાત કરી ૨૦૦% સબસીડી પણ જાહેર કરી છે. જેવી પાન માવાની દુકાનો ધમધમતી થાય કે તુરંત પાન માવા ખાવા પર પ્રતિબંધ લગાવી કોરોના પર કાબુ મેળવી લેવાશે. આ માટે સ્પેશિયલ ટાસ્કફોર્સની પણ રચના કરી દેવામાં આવી છે. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે. -B J