#કબૂતર
હવે ઊનાળો આવ્યો એટલે એક કબૂતરનો એ રોજનો નિયમ કે અમારા ઘરની સામેના ઘરની બારીના છજ્જા પર છાંયડામાં આરામ ફરમાવા આવે. એને જોઈને મનમાં બે વિચાર આવે એક તો એ કે આ કબૂતર જેવી રીતે તડકાથી બચવા માટેનો રસ્તો શોધી લે છે એ રીતે આપણી જિંદગીમાં આવતી તડકારૂપી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાના રસ્તાઓ પણ ઈશ્વરે બનાવેલા જ હોય છે, જરૂર હોય છે, માત્ર શોધવાની. જો એ કબૂતર તડકામાં બેઠું બેઠું જ ઈશ્વરને તડકા વિશે ફરિયાદ અને છાંયડા માટે પ્રાર્થના કરતું રહે તો એ ત્યાં જ બેઠું રહે. પેલું કહેવાય છે ને કે હિંમતે મર્દા તો મદદે ખુદા. જ્યારે પણ આપણે મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરીએ તો ઈશ્વર - કુદરત કર્મ ફળ સ્વરૂપે આપણી મદદ કરે જ.
અને બીજો એ કે આકાશ કે જેને કબૂતરના માથા પરની છત કહી શકાય. જે એને ઉડવા માટે ઉદારતાથી પોતાની વિશાળતા બક્ષે છે, એ જ વિશાળ આકાશ તડકાથી તેનું રક્ષણ નથી કરી શકતો, એ રક્ષણ એને એ નાનકડા છજ્જા પાસેથી મળે છે, પણ એ છજ્જું એને ઉડવા માટે વિશાળતા ન બક્ષી શકે. કદનું મહત્વ સમય, સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે બદલાતું રહે છે. તેમજ દરેક સિક્કાની સારી અને નરસી બે બાજુઓ રહેલી હોય છે. માટે કોઈ એક જ બાજુ જોઈને કોઈને જજ ના જ કરવું જોઈએ, કે કોઈ અભિપ્રાય ન બાંધવો જોઈએ...🖊જાગૃતિ તન્ના "જાનકી"