જે લોકોએ કાલ્પનિક કર્મકાંડો અને કહાનીઓ થકી ઇશ્વરીય શક્તિને કે પ્રભુની કૃપાને મેળવવા બાધા-માનતા, પૂજા-ભોગ, વ્રત-ઉપવાસ અને વિધિ-હવનો થકી પામવાનો, કૃપા મેળવવાનો ભ્રમ ફેલાવ્યો તેઓ આ બધી માયાજાળ રચી ભોળા મૂર્ખ લોકોને ધર્મની બીક બતાવી તેમાં રચ્યાપચ્યા રાખી આર્થિક, શૈક્ષણિક, સામાજિક, માનસિક તમામ પ્રકારનું શોષણ કરે છે અને પોતે (કથાકારો) આ બધી જંજાળમાંથી અલિપ્ત/વેગળા રહીને તમામ પ્રકારનો વિકાસ સિદ્ધ કરી લે છે.
સો બાતો કી એક બાત :દૈવી કે ઇશ્વરીય શક્તિ જેવું દુનિયામાં કાંઇ હોતુ નથી. હા, આત્મશક્તિનો અસ્વીકાર હું ન કરી શકું. પોતાના પર શ્રદ્ધા રાખવી એ જ આત્મશક્તિ મેળવવાનો ઉમદા માર્ગ છે.
દુનિયામાં એકમાત્ર ભારતમાં જ એકલા ભગવાન અને દેવી-દેવતાઓનો વાસ કેમ ? જ્યારે સમગ્ર પૃથ્વી-બ્રહ્માંડનું સર્જન એકમાત્ર ઇશ્વરે કર્યુ છે તો આવો વિરોધાભાસ કેમ ?
ભારતમાં આટલી બધી શક્તિઓ હયાત હોય તો જ્યારે લોકો શરીરે ગરમી ના નિકળે તે માટે શીતળામાતાની પૂજા કરતા તેમ છતાં કોઇને આ રોગથી રાહત થતી નહોતી/ જ્યારે એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી ત્યારે આ રોગ કાબૂમાં આવ્યો...હવે શીતળામાતા પર શ્રદ્ધા રાખતા લોકોએ ખરેખર રસી લેવાય જ નહિ !!!
દેવી-દેવતાઓના વાસવાળા મહાન દેશ ભારતમાં દૈવીશક્તિમાં અગાધ શ્રદ્ધા ધરાવતી અતિભોળી પ્રજા પર જ્યારે રાજાઓ, મુઘલો, અંગ્રેજોએ શાસન કરી સીતમ ગુજાર્યો ત્યારે કેમ કોઇ રામાપીર (વાણિયાનો હેલો સાંભળી વહારે આવનાર) કે કૃષ્ણ (રજસ્વલા દ્રોપદીના ચીર પૂરનાર) કેમ બચાવવા નથી આવતા ? હજુ પણ એ જ પરિસ્થિતિ છે, વિજ્ઞાને લોકોમાં જાગૃતતા લાવતા જીવનધોરણ ઊંચુ આવ્યું છે નહિ તો ધાર્મિક ક્રિયાઓને મગજ વગર કરનારા તો ઠેબાં (ધક્કા) જ ખાય છે.
આ દેશ અંધશ્રદ્ધામાં જેટલું માને છે તેથી અડધું પણ જો કાયદાનું માને તો ક્યાંનો ક્યાંય પહોંચી જાય પણ નહિ, આપણે તો નવરાત્રિમાં શક્તિઆરાધના કરવી છે પણ નવદિવસ કોઇકની દિકરી (લક્ષ્મીનો અવતરણ/શક્તિ) ને લઈ ગેસ્ટહાઉસોમાં ફેરફુદરડીયે ફરવી છે અને રાસ પણ રમવો છે.
ઘરમાં ચા બનાવવાયે દૂધ ના હોય તો ચાલે પણ નહિ, મારે શ્રાવણ માસમાં મહાદેવ પર દૂધ ચડાવવું જ પડે !!! તો જ તેમની કૃપા અવતરે. ભલે ને પછી કોઇ વંચિતનું છોકરું દૂધ વિના તરફડતું હોય ? એનામાં જીવ નથી એટલે તે બાળક પ્રત્યે સંવેદના ના હોય પરંતુ પેલું પત્થરનું લિંગ બિચારું દૂધના અભિષેક વિના તરફડતું હોય તો કેમ ચાલે ?
મારી જ વાત કરું તો જન્માક્ષર લઇ હું મહારાજ પાસે ગયેલો , કુંડળી જોઇને ચંદ્ર તથા ગુરુ ગ્રહના નંગ અનુક્રમે મોતી અને પોખરાજ નક્કી આંગળીએ પહેરવાનું સૂચન કર્યુ. મેં જણાવ્યું કે મારી પાસે ચંદ્ર તથા ગુરુના બંને નંગ હાજર છે તો હું સોની પાસે જઇ વિંટીમાં જડાવી વિધિઅનુસાર નક્કી દિવસે ધારણ કરી દઇશ. તો મહારાજે કહ્યું કે, ગ્રહોના નંગને વિંટીમાં જડાવી બ્રાહ્મણ પાસે મંત્રજાપ થકી સિદ્ધ કરાવીને ચાર્જ (ઊર્જાવાન) કરવા પડે ! હાઇલા, યે ક્યા બાત હુઇ !!! મને પેટમાં દુઃખે તો ગોળી ડૉકટર ગળે અને મારું દર્દ ગાયબ ! ? મેં કહ્યું હું બ્રાહ્મણ કરતાં પણ શુદ્ધ અતિબ્રાહ્મણ છું ફિકર કાહેકો કરો , યૂટ્યુબ પર વિધિ જોઇને તે અનુસાર વિંટી પહેરી લેવાની. પણ છોડોને જંજાળ મને ક્યાં કોઇ ગ્રહ નડે છે? પોતાનો સ્વભાવ, કર્મ અને ઇચ્છાઓ માણસને નડતરરુપ થતી હોય છે.
ક્યાંય કોઇ સધી, સિકોતર, વહાણવટી, ગોગા કે બીજી શૈતાની-મસાણી-તાંત્રિક દૈવી શક્તિઓ હોતી નથી, મનુષ્યનો લોભ અને ડર ભ્રામક અસત્યનું સર્જન કરે છે.