પંખ વગરનું પારેવું !
“પરમકૃપાળુ પ્રભુએ સર્વ મનુષ્યો સરખા છે;
નથી કોઈ ઉંચ કે નીચ મનુષ્યો સર્વ સરખા છે"
આ કાવ્ય આપણે સૌ ભણી ગયા છીએ, અને સૌ જાણીએ છીએ કે બધા જ મનુષ્યો સરખા જ હોય. માણસ એટલે માણસ જ, ભલે તે હિન્દુ હોય કે મુસલમાન, પારસી, ખ્રીસ્તી કે યહુદી, ભારતિય કે અમેરિકન, કેનેડિયન કે આફ્રીકન કે પછી ઓસ્ટ્રેલિયન.માણસ એટલે માણસ જ. હા તેમાં થોડા અપવાદ જરૂર હોય. કોઈ કાણો હોય, કોઈ બહેરો હોય, કોઈ લૂલો હોય કે પછી કોઈ લંગડો હોય. અપવાદનો કોઇ વિવાદ ન હોય. વાદ હોય ત્યાં વિવાદ હોય જ! નિર્વિવાદ વિશ્વનું સર્જન થવું હજી બાકી છે. પ્રભુને પણ માણસ જેવું મગજ હશે, જો કે ડાર્વિને આવી શોધ કરી છે કે નહિ તે મારી જાણમાં નથી, તેથી આ બાબત અનુત્તર અધ્યાહાર રાખી માની લઈએ. મગજ હોય એટલે વિચાર હોય જ. નહિ તો "मनुष्य रुपेण मृगाश्वचरन्ति " (માણસ રૂપે જીવતો પશુ.) આથી તેમણે પશુ, પક્ષીઓ, જાત જાતના અને ભાત ભાતના બનાવ્યા. પૃથ્વી પર આ બધો ઝમેલો ભેગો થવાથી તેઓમાં વિસંવાદ થવાથી કેટલાકને જમીન પર તો કેટલાકને જંગલમાં તો વળી કેટલાકને સમુદ્રમાં ઠેકાણે પાડી હાથ ધોઈ નાંખ્યા.
માણસ જાત પહેલેથી જ અદેખી અને ઈર્ષાળુ, તેને આ પશુ પંખીઓની આવી ચિત્ર વિચિત્ર જાત જોઈને પ્રભુ પાસે માંગણી મુકી, કે અમને પણ કાંઇ નાવિન્ય આપો. આખરે ગંભીર વિચાર અને તેમના સેક્રેટરી શ્રી નારદજીની સલાહ લઈ 'પંખ વગરનું એક પંખી' મનુષ્યને આપ્યું. આ એક એવું પંખી કે તેને કોઈ જોઈ શકે નહી- અર્દશ્ય- તેને પાંખો પણ નહિ, પણ એવી અજબ શક્તિ આપી કે તે પાણીમાં. જમીન પર કે આકાશમાં વિચરણ કરી શકે. ઘડીમાં તે ભારતમાં હોય અને બીજી જ ક્ષણે તે અમેરિકા કે ઈંગ્લેન્ડમાં હોય. તેને કોઈ પ્રકારના બંધન નડે નહિ. માનવ જાતના હરખનો કોઈ પાર ના રહ્યો.