....... " કહેવત અને જીવન "
લોક વાયકામાં જીવન ગુજરતું રહ્યું;
બનતું રહ્યું કે પછી એ ઊજડતું રહ્યું;
ના બોલવામાં હોય જો નવ ગુણ તો,
બોલી બોલીને બોર કોણ વેચતું રહ્યું?
ધરમ કરતાં પડે ધાડ, કહે છે લોકો જ!
એટલે જ, ખુદ વાડ ચીભડું ગળતું રહ્યું;
પોતાનાનાં જ હાથા, જોયાં કુહાડીમાં!
એ પછી એ વૃક્ષ જિંદગીભર રડતું રહ્યું;
ગરજ સરી અને વૈદ્ય થઈ ગયો વેરી,
હર ક્ષણ સ્વજન એ સમજાવતું રહ્યું;
ખેતર આખું જો ચણી ગયાં પંખીઓ,
તો, શું કામ જીવનભર પસ્તાવું રહ્યું?
કહે શ્વાન શકટ તટનું કે ભાર ઊંચકું હું,
હકિકતે ભાર કોઈ અન્ય ઊંચકતું રહ્યું;
ઊગતાને પૂજે સહુ, આથમતાનું જોણું!
રોજેરોજ જીવનમાં એ જ ઘટતું રહ્યું;
લોઢાથી લોઢું કપાય, ઝેરનું મારણ ઝેર!
એટલે, હર વ્યક્તિ રોજ ઝેર પીતું રહ્યું;
હર કહેવત સંતોની "વ્યોમ" શીખ સાચી,
જીવન જીવવું કેમ કહેવતો શીખવતું રહ્યું!
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર