આખી દુનિયા જ્યારે તમને દગો આપે, કોઈ તમારી પડખે ઊભુ ન રહે, કોઈ તમને સમજે નહિ, બધાને સમજીને સમજાવીને થાકી જાઓ ત્યારે એવો વિચાર આવે કે હવે નથી જીવવું અને જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ એક કવિ કે લેખકનાં જીવનમાં થાય છે ત્યારે એને ન જીવવાનાં વિચારો કેવી રીતે પોષાય? કારણ કે એમણે એ જ કલમ દ્વારા હજારો લોકો સુધી શબ્દો પહોંચાડ્યા હોય અને જીવવાની પ્રેરણા આપી હોય એ જ્યારે આમ અચાનક જીવન ટૂંકાવી દે કે તેનવા પ્રયત્ન કરે તો એ કેવી રીતે ચાલે?
આવી પરિસ્થિતિમાં પણ કવિ કે લેખકને સહારો લેવાનો છે કલમનો અને શબ્દોનો! આખી દુનિયા ભલે એમને નકારી દે પણ શબ્દો હંમેશાં તેમને ઝીલી લે છે અને હાથ ઝાલીને ફરીથી દુનિયાને સારું સાહિત્ય આપવા તૈયાર કરે છે. એવું બિલકુલ નથી કે શબ્દો ફક્ત કવિ કે લેખકને જ સહારો આપે છે પણ એ દરેક સામાન્ય જણને સધિયારો આપે છે જે આવી પરિસ્થિતિમાં શબ્દોને બોલાવે છે અને પેન લઈને ડાયરીમાં લખી કાઢે છે પછી ભલે એ લખ્યા પછી એને ફાડી નાંખે પણ એકવાર હૈયું ઠાલવી દેવું જરૂરી છે એ ચાહે કાગળ પર હોય કે વ્યક્તિ પર. એકવખત હૈયું હળવું થયા પછી નવા રસ્તાઓ મળશે એ પરિસ્થિતિ સામે જીતવાના અને જિંદગી જીવવાની પણ નવી પ્રેરણા આપશે!