એક પછી એક મુસીબત આવતી જાય છે.
એક પૂરી થાય પહેલાં બીજી હાજર થાય છે.
સુખ મારું સરનામું જ સાવ ભૂલી ગયું છે,
દુઃખની વણથંભી વણજાર સતત દેખાય છે.
હાલાકીનો પર્યાય બની ગયો હોય એમ લાગે,
પછી આ માનવજીવનનો મકસદ ભૂલાય છે.
હોઈ શકે સુખ જીરવવાની ક્ષમતા ન હોઈ મારી,
તેથી જ તો યાતનાઓના ગુણાકાર લખાય છે.
ધીરજ, સહનશીલતા, શાંતિ શબ્દો સિલકશૂન્ય,
હવે તો હરિ પણ દુઃખના સ્વરુપે પરખાય છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.