વર્ષાકાવ્ય :
"આજ અષાઢ આયો "
રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !
દૂર દખ્ખણ મીટ માંડીને
મોરલે નાખી ટહેલ,
વાદળી સાગરસેજ છાંડીને,
વરસી હેતની હેલ;
એમાં મન ભરીને મતવાલો મોર ન્હાયો !
મેઘવીણાને કોમલ તારે,
મેલ્યાં વીજલ નૂર ,
મેહુલાએ ત્યાં જલની ધારે,
રેલ્યા મલ્હાર સૂર;
એથી ધરતીને અંગ રંગ ઉમંગ ન માયો !
જનમાં વનમાં અષાઢ મ્હાલ્યો,
સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો,
મને ન લાગ્યો રંગ;
એ તો સૌને ભાયો ને
શીતલ છાંય શો છાયો !
આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારે ય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર,
વિરહનો જ વિલાપ ?
રે આયો અષાઢ ને
વાયરે તોયે વૈશાખ વાયો !
બિરહમાં બાઢ લાયો !
રે આજ અષાઢ આયો !
કવિ શ્રી:નિરંજન ભગત
શ્રી નિરંજન નરહરિભાઈ ભગત (૧૮ મે ૧૯૨૬ - ૧ ફેબ્રુઆરી ૨૦૧૮) એ જાણીતા ગુજરાતી કવિ હતાં. તેઓનાં નગરજીવનનાં કાવ્યો એ સૌથી મોટું પ્રદાન છે.
કુદરત વ્યસ્ત અને માનવ હૈયું ત્રસ્ત. વર્ષાનો આ જ નિયમ છે.
પ્રસુતિ: ડો ભૈરવસિંહ રાઓલ