"રુક જાના નહીં..."
ઈમ્તિહાન મુવીનું "રુક જાના નહીં" સોન્ગ ખરેખર સાંભળવા જેવું છે. ઘણી વાર એવું થતું હોય છે કે, આપણે કોઈ કાર્યની શરૂઆત કરીએ છીએ પણ એમાં સફળતા ન મળતા આપણે અટકી જઈએ છીએ. સફરની શરૂઆતમાં રસ્તો અજાણ્યો લાગતો હોય છે. એમાં ઘણી વાર ભટકી પણ જવાતું હોય છે. ભટકી જઈએ ત્યારે અટકી જવા કરતા થોડો બ્રેક લઈને આગળ વધવું વધારે સારું. અમૃત ઘાયલની એક ગઝલના શબ્દો આવા સમયે ઘણું શીખવાડે છે કે, "રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના ! નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના"
નાના હોઈએ ત્યારે આપણને આંગળી પકડીને ચાલતા શીખવવામાં આવશે પણ એક વાર ચાલતા આવડી ગયું પછી ક્યા રસ્તે ચાલવું એ તો આપણે જાતે જ નક્કી કરવું પડશે. ચાલતી વખતે રસ્તો ક્યારેક ધૂંધળો લાગશે તો ક્યારેક સાફ લાગશે પણ ચાલતા રહેવાથી જ ખબર પડશે કે આગળ રસ્તો છે અને આપણે હજુ ચાલવાનું છે. તમે નહીં ચાલો તો સમય ચાલતો જશે. જીવન ચાલતું જશે. દિવસો, મહિનાઓ ,વર્ષ બધું જ ચાલતું રહેશે. બધું જ ચાલતું હશે અને આપણે ટ્રાફિકમાં રોડ વચ્ચે ચાલતી ગાડીઓની વચ્ચે રોડ ક્રોસ કરવા મથતા હોઈએ એવી સ્થિતિમાં અટવાયેલા રહી જઈશું. થાકી જશો એ ચાલશે પણ રુકી જશો તો નહીં ચાલે. આ જીવન તમને થકવી દેશે. થાકયા છો તો આરામ કરો. એ બ્રેક બાદ પાછા ઉભા થઈને જીવનને કહો, ચાલ દોસ્ત સાથે દોડીએ. હિમલ પંડ્યાનો એક શેર છે કે, "કોણ તારું, કોણ મારું, છોડ ને! એકલા છે દોડવાનું, દોડ ને..."
ભર્તૃહરિ રચિત નિતિશતકમ નામના પુસ્તકનો એક મસ્ત શ્લોક છે જેનો અર્થ એવો થાય છે કે, "સમુદ્રમંથન વખતે દેવો અત્યંત કિંમતી રત્નોથી સંતોષ પામ્યા નહિ, ભયંકર વિષથી ભય ન પામ્યા અને અમૃત પ્રાપ્ત કર્યા વિના અટક્યા નહિ. ધીરપુરુષો નક્કી કરેલા ધ્યેયમાંથી ક્યારેય અટકતા નથી." તો તૈયાર છો ને બધા ચાલવા માટે ?? બસ ચાલતા રહો, સફર ગમતી જશે અને રસ્તો આપો આપ થતો જશે.
છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :
સાથી ન કારવાં હૈ , યે તેરા ઈમ્તિહાન હૈ,
યું હી ચલા ચલ દિલ કે સહારે
કરતી હૈ મંજિલ તુજકો ઈશારે
દેખ કહી કોઈ રોક નહિ લે તુજકો પુકાર કે
રુક જાના નહીં તું કહીં હાર કે
કાંટો પે ચલકે મિલેગે સાયે બહાર કે
- SHILPA PARMAR "SHILU"