બસ એ જ છે ભજન, સુટેવ આચરણમાં આવે.
બસ એ જ છે ભજન, કુટેવ મનથકી જે મૂકાવે.
સૌ પ્રત્યે વહે સ્નેહ સરવાણી સદાય અનાયાસે,
બસ એ જ છે ભજન, જે કિન્નાખોરીને હટાવે.
વિશાળતા રહે વટવૃક્ષ સમી ઔદાર્યને જન્માવે,
બસ એ જ છે ભજન, જે સંકીર્ણતાને છોડાવે.
સત્ય વસી જાય પ્રત્યેક જનમાનસે સનાતન જે,
બસ એ જ છે ભજન, જેને અસત્ય કદી ન ફાવે.
ખુદ ઇશ રહે સરાહી અવની પર માનવતા જોઈ,
બસ એ જ છે ભજન, જે માણસાઈને પ્રગટાવે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '