કર્મસંજોગે જગતમાં મળે છે જીવનસાથી.
પારસ્પારિકતાથી સૌને ફળે છે જીવનસાથી.
ભિન્ન વિચારધારાનું જ્યાં થતું હોય મિલન,
એકમેકના અહમને એ ગળે છે જીવનસાથી.
નભે છે દામ્પત્ય સ્નેહ,સમજૂતિને સંકલને,
અરસપરસ મૂંઝવણને કળે છે જીવનસાથી.
મતભેદવેળાએ આગપાણી થવું જરુરી છે,
મર્યાદાઓ એકમેકની સાંભળે છે જીવનસાથી.
સપ્તપદીના સાતફેરે સાતજન્મોનું બંધન છે,
સહકારની ગુરુચાવીથી ઝળહળે છે જીવનસાથી.
વફાદારી, વિશ્વાસ, આદર અને ઔદાર્યથી,
સ્મરણ એનું રહેતું પળેપળે છે જીવનસાથી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '