...... #....કાંબળીનો કોલ.....#.....
....................(ભાગ -૧)............
#..મૃત વ્યકિતને જીવીત કરીને કોલ પૂરો કરાવનાર કવિ ઇશ્વરદાસજી ની સત્યકથા...
(અભાગિયો જિવ કદી પામી ના શકે... એ પોસ્ટમાં આપણે જાણ્યું હતું કે,કાકા આશોજી રોહળીયા,શ્રી લક્ષ્મણ જતિને કહે છે કે "પ્રભુ,હું બકરીનું દૂધ નથી પીતો,મને ઇ નઇં ભાવે". એ સમયે યુવાન ઇશ્વરદાસજી ત્યાં ઊભો હતા અને એ એમ બોલ્યા કે," પ્રભુ કાકા તો નહીં પીયે, પણ જો તમને વાંધો ના હોય તો આપનો "મહાપ્રસાદ " માનીને હું એ દૂધ પી જાઉં?" અને સાધુએ એ દૂધે ભરેલી તાંબડી ઇશ્વરદાસજી ના હાથમાં આપી,અને જેવી એ તાંબડી ઇશ્વરદાસજીએ મોઢે માંડી અને ઘૂંટડો ભર્યો કે ત્યારે જ કહેવાય છે કે હજારો વર્ષ સુધી જે કવિત્વની પ્રાપ્તિ ના થાય એવી કવિતાઓની સરવાણી ફૂટવા માંડી હો ભાઇ... સાક્ષાત માઁ સરસ્વતી આ ચારણ બચ્ચાની જીભે બેસી ગઇ.
ત્યાર બાદ તો "ઇશ્વરદાસજી " ની કવિતાઓ ડંકો એવો વાગ્યો કે "ઇશ્વરા સો પરમેશ્વરા" કહેવાવા લાગી ગયા... કવિતાઓ દ્વારા મરેલાને જીવતા કરી કોલ પૂરા કરાવ્યાના સાચાપ્રસંગો છે એમના તો.. જેમકે,"કાંબળી નો કોલ" આ કથા જગ વિખ્યાત છે. જે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું )
એકવાર કવિ ઇશ્વરદાસજી હિંગળાજની યાત્રાએ નિકળ્યા. ચાલતા ચાલતા કચ્છની ધરતી પર પગ મૂકે છે. "નાગરચાળા" ગામે પહોંચ્યા,અને ત્યાં રાત પડી એટલે રાતવાસો કરવા ગામના પાદરમાં આવી રાજપૂત ના ઘરની પૂછા કરી. સામે કોટવાલ મળ્યો એણે કહ્યું,"અહિંયા એક ડેલી છે રાજપૂતની,"સાંગોજી ગોડ" નામ છે. બવ મોટું ખોરડું છે. ત્યાં જાવ. ઇશ્વરદાસજીએ રસાલો સાંગોજી ગોડ ની ડેલી ના રસ્તે વાળ્યો,પણ આ શું? રસ્તો અને આસપાસ નજર કરતાં જણાયું કે કોઇ મોટો જાગીર નહીં હોય,પણ હવે શું થાય,ગરીબ તો ગરીબ પણ રાજપૂત તો છે ને. આગળ જતાં ખબર પડી કે ડેલી નહીં આ તો કૂબો છે. પણ હવે જે થયુંતે. રાતવાસો તો અહિયાં જ કરવો. કૂબા પાસે આવીને હાકલ કરી,સાંગોજી ગોડ છે? અંદરથી સાંગોજી બહાર આવ્યો,મેલાં કપડાં,સાવ ગરીબ રાજપૂત,વાછરાં ચરાવી ગુજરાન ચલાવે છે. આવીને કહ્યું હા હું જ સાંગોજી ગોડ,કહો શું કામ પડ્યું? કવિએ કહ્યું કે હું ઇશ્વરદાસજી છું,જામરાવળનો મહેમાન છું,હિંગળાજની યાત્રાએ નિકળ્યો છું,અને રાતવાસો કરવા તમારે આંગણે આવ્યો છું. એ સમયે કવિની ખ્યાતિના કિસ્સાઓ કચ્છ-કાઠિયાવાડ સુધી પ્રચલિત હતાં. સાંગોજી ગોડ નામ સાંભળતાં જ લાકડીની જેમ કવિના ચરણોમાં ઢળી પડ્યો,અને કહ્યું કે પ્રભુ ગરીબ છું પણ તમે આવીને મારું આંગણું પવિત્ર કર્યું છે.મારાથી બનતી મહેમાનગતિ હું કરીશ પણ પાછાં નહીં જવા દઉં, આમ કહી માંડ્યો હો ભાઇ ઓછો-ઓછો થવા.અંદર બુઢી રાજપૂતાણી ખૂબ ખુશ થઇ ગઇ કે સાક્ષાત ઇશ્વર મારે આંગણે આવ્યો છે.અને હરખમાં ને હરખમાં આસ-પાસ માંથી ઘી-ગોળ-અને ધાન માંગી લાવી,લાપસી બનાવી સૌને ભરપેટ જમાડી દીધાં.
રાત જામી હતી.કવિ એક એક કવિતા બોલતા જાય છે,અને સાંગોજી ગોડ ને મોજના તોરા માંડ્યા છૂટવા,શું દેવું? શું દેવું? કંઈ છે જ નહીં આપવા માટે. પણ સાંગોજી બવ શોખીન માણસ હતો,એની પાસે એક સરસ મજાની કામળી હતી.એણે એવી ગુંથીને બનાવી હતી કે એ સમયના હજારેક રુપીયાની કિંમત હશે.કામળીનો ઘા કર્યો અને કહ્યું,"લો કવિરાજ, જગદંબા આ કામળી તમને દાનમાં આપે છે ". કવિને થયું હાય હાય હાય આ શું?આ બીચારા પાસે આવનારા ચોમાસા અને શિયાળા માટે એક આ કામળી છે અને એય મને આપી દે?ધન્ય છે આ દાતારી ને.પણ ના આ આમ તો ના લેવાય.કારણ કે ચારણો એ કદી મોજનો દુરુપયોગ કર્યો નથી,નહીતર આજે અડધાં રજવાડાં ચારણોના હોત.