આકડો
– સ્વ. નરહરિભાઈ ભટ્ટ
(ઢાળઃ આવી આવી વગડા વીંધી વેલ જો,)
અમે ગયા’તા અંજનીસુતને દ્વાર જો,
માળાઓ દીઠી રે આકના ફૂલની.
સંશય પ્રગટ્યો મારા અંતર માંહ્ય જો,
પૂછી રે બેઠો હું બજરંગદેવનેઃ
‘ઓ દાદાજી ! ત્યજી સુગંધી ફૂલોને,
શાને રે મોહ્યા છો આકના ફૂલમાં ?!’
વળતી બોલ્યા વાયુ તણા સંતાન જો,
સંભળાવ્યા દાદાએ ગુણ-ઉપયોગ સૌઃ
‘કડવો, તીખો, લૂખો, રેચક આક જો,
પડકારે કફ-વાયુ-દમનાં વિષને.
કમળો, ઉધરસ, મેલેરિયા ને ખોડો જો,
કોલેરા, સોજા ને પેલી આંચકી.
પર્ણો લેજો, લેજો પય પણ આકના,
સમજીને લેજો રોગીને તારવા.
હાથીપગું, વધરાવળ, શિરદુખાવામાં,
પર્ણોને બાંધો રે દિવેલ સંગમાં.
ખેતર વગડે ઊભો આ ગુણકારી જો,
નીરખવા તમને તો ફુરસદ ના મળે.
ગુણથી મોહ્યા, રૂપથી ના અંજાયા જો,
માળાઓ ધારી છે એથી કંઠમાં.
સરજી પ્રભુએ ઔષધિ જીવને કાજ જો,
માનવ કેવો વિસરી બેઠો એમને !!’
વંદન કરીએ અંજનીસુતને પ્રેમથી,
સંદેશો આ સુણતાં ધન્ય થયાં અમે !