Quotes by Chaitanya Joshi in Bitesapp read free

Chaitanya Joshi

Chaitanya Joshi

@chaitanyajoshi203050


સૌને સારાં કામ કરવાની શક્તિ દેજે ઈશ્વર.
વૈખરી સામે પરા વદવાની શક્તિ દેજે ઈશ્વર.
અન્ન, વસ્ત્રને આવાસથી પૂરી ન થાય જિંદગી,
રામચરણમાં રતિ રાખવાની શક્તિ દેજે ઈશ્વર.
જેવા સાથે તેવા એ તો છે સંસારીનો ખેલ બધો,
અપકારો બીજાના ભૂલવાની શક્તિ દેજે ઈશ્વર.
ના કદી કોઈનું બૂરું વિચારવાની હો ઈચ્છા વળી,
સર્વેને સુખી કરવા વિચારવાની શક્તિ દેજે ઈશ્વર.
પાણીના પરપોટા સમી છે આ જિંદગી આપણી,
થોડામાં ઝાઝું કરી છૂટવાની શક્તિ દેજે ઈશ્વર.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

મનને મનાવવાની કોઈ દવા આપો.
છે એ બચાવવાની કોઈ દવા આપો.

આંબી જાય અંબરને વધતી ઈચ્છા,
એને થોભાવવાની કોઈ દવા આપો.

ક્યાં ભરાય છે કદીએ પાત્ર આપણું,
સંતોષ શીખવાની કોઈ દવા આપો.

કોઈ વધ્યા આગળ થયા શત્રુ જાણે,
લીટી મોટી કરવાની કોઈ દવા આપો.

વાત થઈ હતી છંદમા લખવાની મારે,
એનો ગુસ્સો ઠારવાની કોઈ દવા આપો.

-ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

જેણે ઉલેચ્યા અજ્ઞાન અંધકાર તે શિક્ષકને વંદન.
જેણે પાથર્યા પ્રકાશ પારાવાર તે શિક્ષકને વંદન.

વિદ્યારૂપી જ્ઞાન જેના સાનિધ્યમાં સાંપડ્યું સહેજે,
જેણે રોપ્યા જીવનમાં સંસ્કાર તે શિક્ષકને વંદન.

કરી દૂર કુટેવો હતી જે ડગલેપગલે દેખાતી એને,
જેણે સદગુણો દીધા વારંવાર તે શિક્ષકને વંદન.

સ્થાન બીજું માતાપિતા પછીનું હોય જેનું સદાએ,
જેણે ચીંધ્યા સમાજના આચાર તે શિક્ષકને વંદન.

શિક્ષકદિને સસ્નેહ નમીએ ગુરુસમા એ શિક્ષકોને,
ઈશસ્વરુપ ભલેને મનુજ આકાર તે શિક્ષકને વંદન.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

કીર્તન સાથે કરતાલ સંભળાય એવો એ નરસિંહ.
શેષશાયી હરિવર જાગી જાય એવો એ નરસિંહ.
પોતે જાગેને જગતને જગાડે પ્રભાતિયાંના સૂરથી,
હૈયેથી હરિ પ્રત્યે હેત ઊભરાય એવો એ નરસિંહ.
પ્રભાતનાં પહોરમાં નરસિંહનાદે જડચેતન જાગતાં,
અનુસંધાન પરમેશથી ત્યાં થાય એવો એ નરસિંહ.
ના આધિ, વ્યાધિ કે ઉપાધિ એને કદી પણ થનારી,
સુકાન શ્રીહરિને જ્યાં સોંપાય એવો એ નરસિંહ.
રાસલીલાની રંગતમાં મગ્ન થતાં દેહભાન વિસરાય,
સળગતા હાથની વેદના ભૂલાય એવો એ નરસિંહ.
શામળવિવાહ કે મામેરું હોય કુંવરબાઈનું ગાજતું,
તોય નિષ્ફીકર થૈને હરિ ભજાય એવો એ નરસિંહ.
કામ કરવા ખુદ શ્રીપતિ આવે ખામી ના કશી દેખાય,
ધન્ય ધન્ય એની ભક્તિ ગણાય એવો એ નરસિંહ.
હોય શ્રાદ્ધ પિતાનું કે પછી માણેક વિદાયનો પ્રસંગ,
જલકમલવત્ એનાથી વરતાય એવો એ નરસિંહ.
ઊંચનીચના ભેદ તજીને હરિભજન વાસમાં કરતા,
સમદ્રષ્ટિ જેના વર્તનમાં પરખાય એવો એ નરસિંહ.
અગનકસોટી થૈ કેવી જ્યાં માંડલિક રોષના ભોગે,
કેદારરાગે પ્રભુથી હાર પહેરાવાય એવો એ નરસિંહ.
ઉષાકાળે રાહ જોતો કુંડ દામોદર ક્યારે પગલાં થાય,
હરિભક્તો ઈશથી અધિક મનાય એવો એ નરસિંહ.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

ઊકળવાનું લોહીના નસીબે કેમ આવ્યું હશે?
ને વહેવાનું લોહીના નસીબે કેમ આવ્યું હશે ?

તમામ દૈહિકક્રિયાઓ સહકાર થકી જ થતી,
ને બળવાનું લોહીના નસીબે કેમ આવ્યું હશે?

સરખો જ છે રંગ બધે જ રૂધિરનો તો પણ,
કકળવાનું લોહીના નસીબે કેમ આવ્યું હશે ?

જુદા જુદા સમૂહોમાં એ વહેંચાઈ જતું વળી,
બદલવાનું લોહીના નસીબે કેમ આવ્યું હશે?

બંધાય છે સંબંધ મનથી નહિ રક્તના સંબંધે,
ટકાવવાનું લોહીના નસીબે કેમ આવ્યું હશે ?

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

છે ચાહત તો આવ વસાહત કરીએ.
ધરબી રાખી ઉરમાં એ વાત કરીએ.

શું ખોટું છે સમાન હૈયાના મિલનમાં,
નાતજાત ભૂલ એક માનવજાત કરીએ.

દુનિયાના અભિપ્રાયે જિંદગી ન વીતે,
મનમાં વસતા રિપુના ખાટાદાંત કરીએ.

કેવળ હું, તું અને છાપરું એ ઘર નથી,
મનથી મન લગીની એ મુલાકાત કરીએ.

ખૂબ તંગદિલી ભોગવી એક થવામાંને,
મૂક પળોજણ હવે સાવ નિરાંત કરીએ.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

રામ મારા દીનદુઃખિયાંના બેલી.
દેતા એ આવતી આપદા ઠેલી.

જે કોઈ જીવ શરણે જો આવે,
રઘુવીર એને સહજ અપનાવે,
દુર્ગુણો અઢળક જાતા એ ભૂલી..1

અંતરથી એને અમી વરસતું,
નિજજન મળવા દિલ તરસતું.
કરતા એ દરકાર એની પહેલી....2

સુગ્રીવ, વિભીષણને રાખ્યા,
એઠાં બોર શબરીનાં ચાખ્યાં.
જાગી જ્યાં મળવાની તાલાવેલી..3

ભક્તવત્સલતા ભગવંત ભારી,
નવનીત ઉરે જે લેતા સ્વીકારી.
યાદ કરી વાત વચન જે દીધેલી....4

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

વરસી વરસીને થાક્યાં હશે, થોડો આરામ કરો હવે.
ધરા પર આભલાં ટાંક્યાં હશે, થોડો આરામ કરો હવે

ગગનને ગજાવી દીધું તમે મેઘગર્જના કરી કરી કેવી,
વીજચમકારથી ઝાક્યાં હશે, થોડો આરામ કરો હવે.

સમય છે હવે વિરમવાનોને અતિવૃષ્ટિથી ઉગરવાનો,
ભૂમિને પોતાનાં લાગ્યાં હશે, થોડો આરામ કરો હવે.

સજાવો સપ્તરંગી ઇન્દ્રધનુ આકાશે સૂરજ સન્મુખ,
આસમાને સિંગાર ધર્યા હશે, થોડો આરામ કરો હવે.

જુઓ આ ધોધ પણ તમારો આભાર માની રહ્યો છે.
તરુવર નિતનવાં ખીલ્યાં હશે, થોડો આરામ કરો હવે

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

લે વરસાદ આવ્યોને તારી યાદ લાવ્યો.
લે વરસાદ આવ્યોને ફરિયાદ લાવ્યો.

હરવખ્ત હોય ખુશી એ જરુરી ન હોય,
લે વરસાદ આવ્યોને કૈંક વિષાદ લાવ્યો.

નથી કામ આ એવું કે સૂર્યની સાક્ષી હો,
લે વરસાદ આવ્યોને, પ્રભુપ્રસાદ લાવ્યો.

ૠતુ છે ચોમાસાંની તોયે અંતરમાં બહાર,
લે વરસાદ આવ્યોને પ્રેમ આસ્વાદ લાવ્યો.

કાજળઘેરી નિશામાં પ્રગટ્યો શશી કળાએ,
લે વરસાદ આવ્યોને વય વીત્યા બાદ લાવ્યો.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More