અછાંદસ કાવ્ય "વીજ ઝબૂકે"
વીજ ઝબૂકે છે,
ને મારા ગામનું આભું
એક વારસાદી ગાય જેમ
હંભેરા નાખે છે.
થર વઈ ગયેલી ધરતી
અને થર વઈ ગયેલા સંબંધ
બેય એકસરખા લાગે છે હવે.
ચોમાસું તો આવે છે,
પણ માણસ હવે વરસતો નથી.
પહેલા માણસ વાદળ જેવો હતો -
ભર્યો ભર્યો આવે,
મન મેલીને વરસી જાય,
અને પાછો હળવો ફૂલ થઈને વયો જાય.
હવે તો માણસ વીજળી જેવો થયો છે,
ખાલી ઝબકા-ઝબકા કરે છે,
ગાજ્યા કરે છે આખો દી',
પણ એક છાંટોય ભોંય પર નથી પાડતો.
હાંભળો,
ઝબૂકવાથી ખેતર નથી પાકતું હો,
વરસવાથી પાકે છે.
સંબંધમાં જો ધાન ઉગાડવું હોયને,
તો ગાજ્યા વગર વરસતા શીખવું પડે.
તારી આંખમાંથી બે ટીપા પડે,
ને સામે વાળાની ખાખી આંખુંમાં
એક લીલું ખેતર થઈ જાય,
એનું નામ હેત.
ખાલી ચમકીને જતા રહેવું એ તો લુચ્ચાઈ કહેવાય,
ઉભા રહીને પલળવું અને પલાળવું,
એનું નામ માણસાઈ કહેવાય.
તો વીરા,
જ્યારે વીજ ઝબૂકે ને,
ત્યારે બીવાની જરૂર નથી,
બસ છાતી ફાડીને
બે હાથ પહોળા કરીને
આભ સામે ઉભો રહેજે.
ભીંજાઈ જવાથી કોઈ દી' કોઈ નાનું નથી થઈ જતું,
ભીંજાઈ જવાથી તો ધરતી જેવા કઠણ માણસમાંય
"સ્વયમ્'ભૂ" ભગવાન ઉગી નીકળે છે.
અશ્વિન રાઠોડ - "સ્વયમ્'ભૂ"