The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જે સામ્રાજ્યનો સૂર્ય કદી આથમતો નહોતો, તેની શરૂઆત સુરતની એક નાનકડી 'કોઠી' થી થઈ હતી! 🚩 ઈ.સ. ૧૬૧૩ માં જ્યારે જહાંગીરે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં વેપારની પરવાનગી આપી, ત્યારે કોઈને કલ્પના નહોતી કે આ ૨૧૭ શેરહોલ્ડરો એક દિવસ અડધી દુનિયા પર રાજ કરશે. 🌍 બ્રિટન કરતા તેનું સામ્રાજ્ય ૧૩૭ ગણું મોટું હતું! બ્રિટિશ ગુલામીમાં રહેલા ૪૯ કરોડ લોકોમાંથી ૩૯ કરોડ તો માત્ર ભારતીયો હતા. સુરતની તાપી નદીના કિનારે ૧૬૧૩માં રોપાયેલું વેપારનું બીજ વટવૃક્ષ બનીને દુનિયાના ૫૩ દેશોને ગળી ગયું, ઇતિહાસ હંમેશા પુનરાવર્તન પામે છે. આજે બ્રિટન લોન ચૂકવવામાંથી ઊંચું નથી આવતું, જ્યારે ભારત વિશ્વની આર્થિક શક્તિ બની રહ્યું છે! 🇮🇳 આજથી ૪૦૦ વર્ષ પહેલાં ૧૬૧૩ના વર્ષની શરૂઆતે મોગલ બાદશાહ જહાંગીરે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં કોઠી સ્થાપવાનો પરવાનો કાઢી આપ્યો ત્યારે કંપનીના ૨૧૭ શેરહોલ્ડરોને કલ્પના નહોતી કે ઈતિહાસનું સૌથી મોટું સામ્રાજ્ય સ્થાપવાનું પણ એ લાઈસન્સ હતું. બધું મળીને ૬૮,૩૭૩ પાઉન્ડનું રોકાણ કરનાર શેરહોલ્ડરોએ એ પણ નહોતું ધાર્યું કે જહાંગીરને રીઝવવામાં ખાસ્સો સમય નીકળી જવાનો હતો. કંપનીના ‘હેક્ટર’ નામના વહાણમાં હંકારીને તેનો કેપ્ટન વિલિયમ હોકિન્સ તો ૧૬૦૮માં સુરત પહોંચ્યા બાદ જમીનરસ્તે પ્રવાસ ખેડી આગ્રા ખાતે જહાંગીરને મળ્યો હતો. ભારતમાં સોએક વર્ષ થયે પોતાની વ્યાપારી મોનોપલી જમાવી ચૂકેલા પોર્તુગિઝો મોગલ શાસનમાં સારી એવી વગ ધરાવતા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આગમનથી ઇજારાશાહી તૂટે એ તેમને માન્ય નહોતું, એટલે વિલિયમ હોકિન્સને તેમણે ફાવવા ન દીધો. હોકિન્સ અઢી વર્ષ સુધી આગ્રામાં રોકાયો, પણ પોર્તુગિઝોના દબાણને લીધે જહાંગીરે તેને દાદ આપી નહિ. આખરે તે અંગ્રેજે નવેમ્બર, ૧૬૧૧માં કંટાળીને આગ્રા છોડ્યું. સ્વદેશ જતી વખતે માર્ગમાં જ તેનું મૃત્યુ નીપજ્યું. બીજે વર્ષે કેપ્ટન થોમસ બેસ્ટ નામના બ્રિટિશ સેનાપતિના નૌકાકાફલાએ સુરત પાસે નૌકાયુદ્ધમાં પોર્ટુગિઝ મનવારોને પરાજય આપ્યો તે પછી થોમસ રૉ નામનો અંગ્રેજ જહાંગીરને તેના અજમેર ખાતેના દરબારમાં રૂબરૂ મળ્યો. દરિયાઇ માર્ગો પર મોગલ વહાણોને પૂરેપૂરું રક્ષણ આપવાનું તેણે વચન આપ્યું. બદલામાં જહાંગીરે જાન્યુઆરી ૧૧, ૧૬૧૩ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને । સુરતમાં કોઠી સ્થાપવાની સત્તા આપતું ફરમાન બહાર પાડ્યું. બે મહિના પછી માર્ચમાં કંપનીએ ત્યાં કોઠીનો પાયો નાખ્યો-–અને તે પાયો બ્રિટિશ સામ્રાજ્યવાદનો પણ હતો. દુનિયાના અજાણ્યા પ્રદેશો પર વ્યાપારના બહાને પગદંડો જમાવવાનો ક્રમ શરૂ થયો એ પછી બ્રિટનને સીધી હરીફાઇ સ્પેન અને પોર્ટુગાલ સાથે હતી, જેઓ મુખ્યત્વે દક્ષિણ તથા મધ્ય અમેરિકાની સંપત્તિ વહાણો મારફત દેશભેગી કરી રહ્યા હતા. બ્રિટનની રાણી એલિઝાબેથ પહેલીએ ૧૫૭૮માં એવા બીજા પ્રદેશોની ખોજ માટે વહાણો રવાના કર્યા. પ્રદેશો મળી આવ્યા, પણ વેપારના પગલે ત્યાં સામ્રાજ્યવાદના નામે સંસ્થાનો સ્થાપવાના એટલે કે પ્રદેશો તાબે લેવાના પ્રયાસો ફળ્યા નહિ. બિઝનેસ પણ ન જામ્યો, માટે વ્યાપારી કેંદ્રો સંકેલી લેવામાં આવ્યા. ભારત એકમાત્ર એવો દેશ હતો કે જ્યાંથી વ્યાપારના લેબલ હેઠળ આરંભાતો બ્રિટિશ સામ્રાજ્યવાદ ચોમેર ફેલાવાનો હતો. પોર્તુગિઝો અને સ્પેનિયાર્ડો દક્ષિણ તથા મધ્ય અમેરિકાના દેશો-પ્રદેશોને પોતાની એડી નીચે લાવી રહ્યા હતા, પણ બ્રિટનનમાટે બાકીનું જગત મોકળું પડ્યું હતું. ૧૭મી સદીમાં તેણે વેસ્ટ ઇન્ડિઝના બહામાઝ, જમૈકા, સેન્ટ કિટ્સ-નેવિસ, બાર્બેડોઝ,બર્મુડા, ગ્રેનેડા વગેરે ટાપુઓ કબજે લીધા. સેન્ટ હેલિના ટાપુ પણ અંકે કર્યો. ૧૮મી સદીમાં ઓસ્ટ્રેલિયા તથા ન્યૂ ઝિલેન્ડ ઉપરાંત જિબ્રાલ્ટર બ્રિટિશ માલિકીના બન્યા. ૧૯મી સદી દરમ્યાન સિંગાપુર, બ્રહ્મદેશ, શ્રીલંકા, કેન્યા, ઘાના,હોંગ કોંગ, મલાયા, ટ્રિનિડાડ-ટોબેગો, મોરિશિયસ, ગુયાના, માલદીવ, સોલોમન ટાપુઓ, માલ્ટા, નાઇજિરિયા, લેસોથો તેમજ ફોકલેન્ડ ટાપુઓ બ્રિટિશ સામ્રાજ્યમાં વિલીનીકરણ પામ્યા. ઓગણીસમી સદીના ૧૮૧પથી વીસમી સદીના ૧૯૧૪ સુધીનો જુમલો તપાસો તો પૂરાં સો વર્ષના એ સમયગાળા દરમ્યાન બ્રિટિશ સામ્રાજ્ય ૨,૭૦,૦૦,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલું ઓર વિસ્તર્યું. આને કારણે વધુ ૪૦ કરોડ લોકો પરાધીન બન્યા. ૨૦મી સદીમાં ઇરાક,પેલેસ્ટાઇન, સ્વાઝિલેન્ડ, ટાંગાનિકા, ઝામ્બિયા, માલાવી, સાયપ્રસ તથા ટ્રાન્સજોર્ડનને બ્રિટિશ ગુલામીની બેડી લાગી.ઇતિહાસમાં બીજા એકેય દેશે પોતાનું સામ્રાજ્ય આટલી હદે ફેલાવ્યું ન હતું. ‘બ્રિટિશ એમ્પાયર’ ૧૯૨૦ના દસકામાં તેની ચડતી કળાના શિરોબિંદુએ પહોંચ્યું ત્યારે ૫૩ દેશો તેના ગુલામ હતા. સામ્રાજ્યનું કુલ ક્ષેત્રફળ ૩,૩૭,૦૦,૦૦૦નચોરસ કિલોમીટર હતું, જેમાં ૪૦,૭૯,૨૫૦ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા ભારતનો હિસ્સો અધિકતમ હતો. બ્રિટનની ગુલામી વેઠનારા ૪૮.૮ કરોડ લોકોમાં ૩૯ કરોડ પ્રજાજનો ભારતના હતા. બ્રિટિશ એમ્પાયરમાં સૂર્ય એટલા માટે કદી ન આથમતો કે પૃથ્વીની લગભગ ૨૫% ભૂસપાટી પર અંગ્રેજોના વાવટા લહેરાતા હતા. ઐતિહાસિક કટાક્ષ તો એ કે બ્રિટનના વિશાળ સામ્રાજ્યની તુલનાએ ખુદ બ્રિટનનું ક્ષેત્રફળ માંડ ૧૩૭મા ભાગ જેટલું હતું. બ્રિટિશ સામ્રાજ્યના વાવટા અડધી કાઠીએ અને પછી ક્રમે ક્રમે અડધાની પણ અડધી કાઠીએ લાવવા માટે બીજું વિશ્વયુદ્ધ કારણ બન્યું. એક રીતે જોતાં એ યુદ્ધમાં બ્રિટનને તેનું સામ્રાજ્ય ઘણું કામ લાગ્યું, કેમ કે તેના તાબા હેઠળના ભારત જેવા દેશોના સૈનિકો તેની પડખે રહીને જાપાન-જર્મની સામે લડ્યા. બ્રિટન અંતે વિજયી બન્યું, પણ વિશ્વયુદ્ધે તેને વિનાશની ગર્તામાં એટલી હદે ધકેલી દીધું કે યુદ્ધવિરામ પછીના વર્ષે ૧૯૪૬માં અમેરિકાએ તેને ૪.૩૩ અબજ ડોલરની (આજના ભાવે ૭૬ અબજ ડોલરની) લોન આપી ન હોત તો તેણે દેવાળું ફૂંકવાનો વારો આવવાનો હતો. લોનનો છેલ્લો હપતો તેણે છેક ૨૦૦૬માં ચૂકવ્યો. મૂછે ચોપડવા તેલ ન હોય ત્યારે ડેલીએ દીવા કરવાનો સવાલ નહિ, એટલે બ્રિટને સામ્રાજ્યવાદનો મોંઘો શોખ તજી દેવાનું નક્કી કર્યું. સામ્રાજ્યની ઓળખ જેમના વડે બનતી એ ભારત સમેતના તાબેદાર દેશોમાં આમેય તેને આર્થિક રીતે બરકત દેખાતી ન હતી--જેમ કે ભારતમાં તેણે ચણેલા નદી પરના બંધોનો, સિંચાઇની નહેરોનો, ૬૦,૦૦૦ કિલોમીટર લાંબી રેલવે લાઇનનો, પુલોનો, શૈક્ષણિક સંસ્થાઓનો બ્રિટિશ પ્રજાને ક્યારેય સીધો લાભ મળતો ન હતો. વિશ્વયુદ્ધ પછી ભારતથી શરૂ કરીને વારાફરતી ઘણાં સંસ્થાનોમાં બ્રિટને માયા સંકેલી લીધી. ૧૯૬૫ સુધીમાં બ્રિટિશરાજ હેઠળના ૭૦ કરોડ લોકો પૈકી માત્ર અડધો કરોડ લોકો બાકી રહ્યા, જેમાંથી ૬૦% પ્રજાજનો એકલા હોંગ કોંગના હતા. સૌથી કારમો તેજોવધ એ વાતે થયો કે સામ્રાજ્યનું ‘જેવેલ ઇન ધ ક્રાઉન' યાને તાજના રત્ન તરીકે ઓળખાતું ભારત બ્રિટને ગુમાવી દીધું. ભારતમાંથી તેની છેલ્લી ફૌજી બટાલિઅન સોમરસેટ લાઇટ ઇન્ફન્ટ્રીએ મુંબઇના ગેટવે ઓફ ઇન્ડિયાથી ફેબ્રુઆરી ૨૮, ૧૯૪૮ના રોજ વિદાય લીધી. બ્રિટિશ સામ્રાજ્યનો આરંભ ભારતથી થયેલો એમ તેને આટોપી લેવાનું કામ પણ બ્રિટને ભારતથી શરૂ કર્યું. બીજા વિશ્વયુદ્ધ પછી આવો સંકેલો કરવા માંડેલા બ્રિટનને અમેરિકાએ જરા ધીમી ગતિ રાખવાનું જણાવ્યું, કારણ કે ઠંડો વિગ્રહ જોર પકડતો હતો અને સ્વતંત્ર કરી દેવાતાં સંસ્થાનોમાં રશિયા તરફી સામ્યવાદી તત્ત્વો કદાચ સત્તા પર આવે તેવી અમેરિકાને બીક હતી. આથી બિનસામ્યવાદી સરકારોની રચના માટે પૂરતું આયોજન કર્યા પછી જ સંસ્થાનોને વારાફરતી સ્વતંત્રતા આપી. આજે કથિત બ્રિટિશ સામ્રાજ્યમાં માત્ર ૧૩ સંસ્થાનો છે. દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડે આવેલા ફોકલેન્ડ ટાપુસમૂહને બાદ કરો તો બાકીનાં ફક્ત ચણા-મમરા જેવાં છે. સૂર્ય જેના આકાશમાં કદી ન આથમતો તે અસલના બ્રિટિશ સામ્રાજ્યની તુલનાએ આજનો બ્રિટનશાસિત પ્રદેશ માંડ ૦.૦૫% જેટલો છે. આમાંથી પણ ઘણાં ખરાં સંસ્થાનો પર બીજા દેશો માલિકી અંગે ક્યારના દાવો કરી રહ્યા છે. જિબ્રાલ્ટર પર સ્પેનનો દાવો છે, કારણ કે છએક ચોરસ કિલોમીટરનો એ વિસ્તાર સ્પેનનો જ પ્રાદેશિક હિસ્સો છે. ડિએગો ગાર્શિયા ટાપુને મોરિશિયસ પોતાનો ગણાવી રહ્યું છે. આર્જેન્ટિના ફોકલેન્ડ ટાપુને તથા જ્યોર્જિયા સેન્ડવિચ ટાપુઓને પોતાના ગણાવી રહ્યું છે એટલું જ નહિ, પણ તેમને પરત મેળવવા ૧૯૮૦ના દસકામાં તેણે બ્રિટન સામે યુદ્ધ ખેલી નાખ્યું. એન્ટાર્કટિકાની પણ વાત કરો તો આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ એ ખંડ એકેય દેશની માલિકીનો ન હોવા છતાં અમુક દેશોની જેમ બ્રિટને ત્યાંના અમુક બર્ફીલા પ્રદેશ પર પોતાનો કબજો રાખ્યો છે. આર્જેન્ટિના તથા ચીલી તેના કેટલાક ક્ષેત્રફળને પોતાના હક્કનું ગણાવે છે. આજની સ્થિતિ જોતાં રમૂજપ્રેરક બાબત એ કે બ્રિટને તેનો વૈશ્વિક દબદબો સૂચવતા ‘બ્રિટિશ એમ્પાયર’ શબ્દપ્રયોગને હજી પડતો મૂક્યો નથી. બ્રિટનના સામ્રાજ્યવાદને ઓફ ઇન્ડિયાથી વિદાયગીરી વખતની તસવીર ટકાવવામાં જેમણે યોગદાન આપ્યું હોય તેમના માટે ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર/OBE જેવા ખિતાબો તેણે ચાલુ રાખ્યા છે, જ્યારે હકીકતમાં એમ્પાયર તરીકે ઓળખાવવા જેવું કશું છે જ નહિ. અંગ્રેજો જો કે સમય બદલાયો હોવાની વાસ્તવિક્તાને સ્વીકારી શકતા નથી
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser