આપણે તો સેટ છીએ ...
બહુ દુઃખ ની વાત છે કે દેવી ગણાતી માં ની હાલત દેવી જેવી હોતી નથી
અને આપણ ને એની હાલત દેવી જેવી થાય એમાં રસ પણ નથી
કેમ ?
કેમ - કે - આપણે સેટ છીએ ...
અગર એ માં ની દેવી જેવી હાલત થાય તો નુકશાન આપણું જ થાય છે
25 વર્ષ નો જુવાન અડધી રાત્રે દેવી ને કેવી રીતે કહી શકશે કે જમવાનું ગરમ કરીશ ? ભૂખ લાગી છે...
એટલું જ નહિ - એવી વાત કોઈ કરશે - કે -
હે દેવી,
તું અન્નપૂર્ણા છું - તને ઠીક લાગે ત્યારે તું રસોડામાં રજા રાખજે કોને ક્યારે કેટલું અન્ન મળવું જોઈએ એ તું નક્કી કરજે
તું લક્ષ્મી છે મારા ઘરની - કમાતો ભલે હું હોઉં પણ મને કેટલી લક્ષ્મી નો ઉપભોગ કરવો એ તારા હાથમાં છે...
તું સરસ્વતી છું - સારા ખરાબ ની સમજ છે તો તને ઠીક લાગે એ પ્રમાણે તું ઘર ના દરેક સદસ્યો સાથે વ્યવહાર કરજે
તું દુર્ગા છું - ક્યારેક ક્યારેક અમારા કાંડ યોગ્ય ના લાગે તો રૌદ્ર રૂપ લેતા તને કોણ રોકવાનું છે
તું ચંડિકા છું - કોઈ ના પણ દુષ્કૃત્યો ની સજા રૂપે તું રણચંડી બની જ શકે છે ને,..!
તું અંબિકા છું - સિંહ ની સવારી પર અડધી રાત્રે ક્યાંય પણ વિચરણ કરજે, તને ક્યાં કોઈ સવાલ કરવાનું છે
તું ભવાની છું - કોપાયમાન થાય તો કોઈ નું પણ ખેદાન મેદાન કરવાનો હક તો છે જ તારી પાસે...
ઘર નું કોઈ પણ વ્યક્તિ કહેશે - કે - અરે ઓ દેવી,
તું તો સ્વતંત્ર છું - તારા માટે ત્યાગ અમે કરીશું, તારે ત્યાગ ની મૂર્તિ બનવાની જરૂર નથી..
સામાજિક રીતે અધિકારો એ જ ભોગવી શકે જે ફરજો બજાવતું હોય,..
પણ ખરું કહું તો આપણે બહુ સ્માર્ટ છીએ ...
માં ની પાસે દેવી ના અધિકારો નથી પણ તોયે એને દેવી ની તોલે ગણવાની
કેમ કે એવું કરીએ તો જ
આપણે અધિકારો આપણી ઝોળી માં ઠાલવી શકીએ
અને ફરજો બજાવવાની એને કહી શકીએ ...
અરે એટલું જ નહિ,
અગર ક્યારેક એ માં ની આંખો ખુલવા માંડે તો -
આપણે એને દેવી ની તાકાત યાદ કરાવી થોડી ક્ષણો માટે માથે તો બેસાડી જ દઈશું...
પછી પાછું ચક્ર એમનું એમ ચાલવા માંડશે.....
કેમ કે માં પોતે પણ ક્યાં દેવી નું લેબલ છોડવા માંગે છે ?
એને ઇન્સાન થઇ ને રહેવું હશે તો એ માથું ઉંચકશે ...
બાકી જ્યાં સુધી દેવી જેવી માં ઘરમાં છે ત્યાં સુધી - આપણે તો સેટ છીએ ...
🙏🙏🙏