રાજપીપળા 🕉️
ભારત સ્વતંત્ર થતા પહેલાં દક્ષિણ ગુજરાતમાં આવેલું દેશી રાજ્ય. પ્રાચીન કાળમાં નાંદીપુર અને ત્યારબાદ નાંદોદ તરીકે જાણીતું હાલનું રાજપીપળા પાટણ કરતાં પણ વધારે પ્રાચીન હોવાનું મનાય છે. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી (ઈ. સ. પાંચમી સદી) ભરૂચના ગુર્જર રાજાઓએ નાંદીપુરનો પ્રદેશ જીતી લીધો હતો. લાટમાં ગુર્જરો તથા ચાલુક્યોના તામ્રપત્રોમાં તેમની રાજધાની તરીકે નાંદીપુરનો ઉલ્લેખ થયો છે. શરૂઆતનાં દાનશાસન મહારાજ દદ્દ પ્રશાન્તરાગનાં છે. તેમાં તેના પૂર્વજો તરીકે તેના પિતામહ સામંત દદ્દનાં અને પિતા તરીકે જયભટ વીતરાગનાં પરાક્રમો વર્ણવ્યાં છે. આ સામંત દદ્દ ગુર્જર દેશ(હાલનું ગુજરાત નહિ, પરંતુ દક્ષિણ રાજસ્થાનમાં હાલના ભીનમાલ)ના પ્રતીહાર વંશના રાજા હરિશ્ર્ચંદ્રનો સૌથી નાનો પુત્ર હતો. સામંત દદ્દ ઈ. સ. 570થી 595ના અરસામાં શાસન કરતો હતો. આ વંશના પ્રતાપી રાજા દદ્દ બીજા(ઈ. સ. 629-642)નાં પાંચ દાનશાસન મળ્યાં છે. તેનું બીજું નામ પ્રશાંતરાગ હતું. તેનાં બે દાનશાસન અક્રૂરેશ્વર વિષય(અંકલેશ્વર જિલ્લા)ને લગતાં છે. તેમાં તેનું પાટનગર નાંદીપુર દર્શાવ્યું છે. એના પુત્ર જયભટ બીજાના પુત્ર દદ્દ ત્રીજાએ વલભીના મૈત્રક વંશના રાજા પાસેથી ભરૂચનો પ્રદેશ જીતીને ઈ. સ. 677માં ભૂમિદાન આપ્યું. તેણે રાજધાની નાંદીપુરથી બદલીને ભરુકચ્છ(ભરૂચ)માં રાખી. ત્યારબાદ આ વંશમાં જયભટ 3જો, અહિરોલ તથા જયભટ 4થો રાજાઓ થઈ ગયા. નાંદીપુર આ રાજ્યનો એક વિષય (જિલ્લો) હતો. આ વંશના દાનશાસનમાં જણાવેલું નાંદીપુર એ જ નાંદોદ હોવાની પ્રતીતિ થાય છે. આ ગુર્જરવંશની સત્તા ઈ. સ. 736 બાદ થોડાં વર્ષમાં નાશ પામી. ઈ. સ. 788થી 967 સુધી સમસ્ત લાટમાં દખ્ખણના રાષ્ટ્રકૂટોની સત્તા પ્રવર્તી. આ રાજ્યમાં નાંદોદ પ્રદેશનો સમાવેશ થયો હશે એ નિશ્ચિત છે. રાષ્ટ્રકૂટોની સત્તા અસ્ત પામતાં લાટ દેશમાં ચાલુક્ય (સોલંકી) રાજાઓની સત્તા પ્રવર્તી. માળવાનરેશ બલ્લાલ અને અજમેરનો રાજા ગુજરાત ઉપર ચડાઈ કરવા નીકળ્યા, ત્યારે સોલંકી રાજા કુમારપાળે નાંદીપુરના સૈન્યને બલ્લાલ સામે મોકલ્યું હતું. આમ કુમારપાળના સમય(ઈ. સ. 1143-1172)માં અહીં સોલંકીઓનું રાજ્ય હતું. સોલંકી રાજા ભીમદેવ બીજાના સમય(1178-1242)માં નાંદોદ પ્રદેશ પર વૈજવાપાયન રાજવંશની સત્તા પ્રવર્તતી હતી. આ વંશમાં ચાચિગદેવ, સોયલદેવ અને જેસલદેવ નામે રાજા થયા. તે પછીના વંશ વિશે માહિતી મળતી નથી.
મોખડાજી ગોહિલ નામના સરદારે તેરમી સદીના અંતે સૌરાષ્ટ્રના ઘોઘામાં રાજ્ય સ્થાપ્યું હતું. તેની બે રાણીઓમાંની એક રાજપીપળાના પરમાર રાજાની દીકરી હતી. તેનો પુત્ર સમરસિંહજી પોતાના અપુત્ર મામાના વારસદાર તરીકે રાજપીપળાનો રાજા બન્યો. આમ ચૌદમી સદીમાં રાજપીપળાની ગાદી પરમારમાંથી ગોહિલ વંશમાં આવી. સમરસિંહના બે પુત્રો ઉગ્રસેન અને ભાણસિંહ વહેલા અવસાન પામવાથી ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં ભાણસિંહનો પુત્ર ગેમલસિંહ રાજપીપળાનો રાજા બન્યો.
ગુજરાતના સુલતાન અહમદશાહે રાજપીપળા પર હુમલો કરીને કબજે કરવાથી ગેમલસિંહ 1418માં નાસી ગયો. તેના પુત્ર વિજયપાલે થોડા સમય બાદ રાજપીપળા ફરી જીતી લીધું. એના મૃત્યુ પછી એનો પાટવીકુંવર હરિસિંહ ગાદીએ બેઠો. અહમદશાહે રાજપીપળા પર ફરી હુમલો કર્યો. તેથી ત્યાંના શાસક હરિસિંહ, ઈડરના રાવ પૂંજા, ચાંપાનેરના રાવળ ત્રંબૅંકદાસ અને ઝાલાવાડના છત્રસાલની સંયુક્ત સેનાએ મુસલમાનોનો બહાદુરીથી પ્રતિકાર કર્યો; પરંતુ 1432માં રાજપૂતોનો પરાજય થયો. મુસલમાનોએ નાંદોદ-રાજપીપળામાં લૂંટ કરી. હરિસિંહ જંગલમાં નાસી ગયો અને 1443માં તેણે ફરી વાર રાજપીપળા જીતી લીધું.
https://www.facebook.com/share/p/1X9Ek1rVmK/