આ ઝોમેટો અને સ્વિગીના જમાનામાં બાળકો પાસે શું લાગણીની અપેક્ષા રાખવાની? કહેવત છે ને, "અન્ન એવો ઓડકાર." હવે અન્ન કોના હાથનું બાળક ખાતો હોય એ ખુદ કંપની વાળાને પણ ખબર નહીં હોય! બાના હાથથી બનેલ અન્નમાં સાક્ષાત અન્નપૂર્ણામાં મહેરબાન થતા હોય એવો ભાવ અને પ્રેમની ભેળવણી અને બધાને ધ્યાનમાં રાખીને બનાવેલ સ્વાદ આપોઆપ વિવેક અને લાગણી જન્માવે છે. જો આપણે જ બાળકને બાળપણથી બહારના નાસ્તા અને પેકેટ ફૂડની ટેવ પાડશું તો બાળક એજ ખાશે ઘરની રોટલી નહીં ભાવે! બધી જ સ્ત્રીઓને મોટેભાગે રસોઈ કરવી ગમતી જ નથી, એ વ્યવસ્થા ગોઠવવામાં જ હોય કે કેવી રીતે રસોડેથી છુટકારો મેળવવો! બપોરે એક સમય કદાચ બનાવી લે પણ સાંજે તો નક્કી જ હોય કે પરિવારને ક્યાં બહાને બહાર જમવાની હા પડાવવી, અને વળી ત્યાં જઈને બાળકો કે પરિવાર માટે ટાઈમ આપી એકબીજાના મનને નહીં પણ અજાણ્યા લોકોના મનને જાણવાના પ્રયાસ કરવાના! માન્યું કે, થોડો ચેન્જ જમવામાં મળવો જોઈએ. પરિવર્તન સારું છે, જીવનમાં લાવવું, પણ સાવ એવા દેખાદેખીએ ન ચડવું કે, પછી પછડાટ ન ખમી શકો. અરે તું ઘર સાચવ બેના/ભઈલા તો બાળકોને પરિવારથી લાગણી જાગશે, નહીતો પછી ઘરડાઘર જ વધવાના... ખરું ને?
બાના હાથની રસોઈ બન્ને ટાઈમ તમને જમવા મળતી હોય તો તમે ખુબ ભાગ્યશાળી છો એમ સમજી એમની રસોઈ પ્રેમથી જમજો, દરેકના ભાગ્યમાં બાની રસોઈ નથી હોતી.
-ફાલ્ગુની દોસ્ત