"મનનાં ઝરુખેથી"
ઝીણું ઝીણું નીરખીને જોયું, મનનાં ઝરુખેથી,
ડોકિયાં કંઈક સબંધો, મનનાં ઝરુખેથી.
આપ સૌ જાણો છો કે દર્પણમાં જોઈએ તો હૂબહૂ આપણું પ્રતિબિંબ જોવા મળે છે. કારણ દર્પણની બનાવટ જ એ રીતે કરવામાં આવી છે કે એને જેની પણ સામે મૂકો હૂબહૂ તે જ દેખાય.
પરંતુ આજે વાત મનનાં ઝરુખાની છે. દરેક મનુષ્યનાં જીવનમાં કંઈક એવી ઘટનાઓ બનેલી હોય છે, કંઈક એવા સબંધો હોય છે જે પોતાની દોડ ભાગમાં ભૂલી ગયો હોય છે.
દોસ્તો, જ્યારે પણ સમય મળે શાંતચિત્તે બેસજો અને એક ડોકિયું મનની અંદર નાંખીને તો જોજો, કંઈક એવા સારા-નરસા ચહેરા ઉપસી આવશે, સબંધો ઉપસી આવશે. હા એમાંના ઘણાંને આપણે કાયમ માટે મનનાં ઉંબરાની બહાર પણ મૂકી આવ્યા છીએ, અને કંઈક એવા પણ છે જેને વાગોળતાં આનંદની અનુભૂતિ પણ થાય છે.
માનવીનું મન એ એક કાચનાં પડદા જેવું છે એમ કહું તો ચાલે. કાચના પડદાની આ પાર ઊ઼઼ભેલાને પેલી પાર ઊ઼ભેલુ દેખાય છે પણ એની વાણી સાંભળી શકાતી નથી, ફક્ત નિહાળી શકાય. એમ માનવીના મનને આજ સુધી કોઈ સમજી શક્યું નથી.
હવે સબંધોની વાત લઈએ તો એમાં ઘણા પ્રકારના સબંધો આવી જાય. બાળપણમાં બાળગોઠિયા તરીકેનાં સબંધ, સ્કૂલ - કોલેજના એ ધીંગામસ્તી વાળા મિત્રોના સબંધ, લગ્ન પછીના કૌટુંબિક સબંધ, વ્યવસાય કરતા હે ત્યાં કર્મચારી તરીકેના સબંધ, જૂનાં મિત્રો એવા હશે કે જેમને મળ્યે ઘણાં વર્ષો વીતી ગયા હશે. મનુષ્ય એટલો વ્યસ્ત થઈ ગયો છે કે આવા અનેક સબંધોને ભૂલી ગયો છે.
તો દોસ્તો, મનનાં ઝરુખામાં એક ડૂબકી તો લગાવી જુઓ઼, કઈંક સબંધો તાજા થઈ જશે ને ઊપસી આવશે.
હું દરરોજ મારા અલગ અલગ વિષય પરના લેખ દ્વારા કંઈક નવીન લખવાનો પ્રયત્ન કરી રહી છું.
આશા છે કે આપને ગમશે. આપના મંતવ્યો જણાવશો.
આભાર.
વાયોલેટ આર. ક્રિશ્ચિયન, ન્યુ મણિનગર, અમદાવાદ.