પોતાનો કોઈ બાબતમાં વિજય થાય એ કોને ન ગમે? નક્કી એ કરવાનું છે કે વિજય ક્યાં અને કઈ બાબતમાં મેળવવો છે! વાદ વિવાદમાં, બીજાને પછાડવામાં, બીજાને ખોટા સાબિત કરવામાં, જૂઠું બોલીને પોતાનું કામ કઢાવવામાં કે પછી સચ્ચાઈ અને ઈમાનદારીનાં રસ્તા પર ચાલીને પોતાનું લક્ષ્ય મેળવવામાં?
જૂઠું બોલીને કામ કરાવીએ છીએ ત્યારે આપણું કામ તો થઈ જાય છે પણ એ વિજય ક્ષણિક હોય છે. જ્યારે જૂઠનો ભાંડો ફૂટે છે ત્યારે યાદ કરવું પણ મુશ્કેલ બને છે કે કયું જુઠાણુ ચલાવીને આ વિજય મેળવ્યો હતો!
કોઈને ખોટી રીતે હેરાન કરીને મેળવેલ વિજય અભિમાનનું બીજ રોપે છે. જેનું વૃક્ષ દિવસે દિવસે મોટું થતું જાય છે. અંતે માનવી એ ભૂલી જાય છે કે એ કોની સાથે કઈ રમત રમી રહ્યો છે. એને એ યાદ જ નથી રહેતું કે જો હેરાન થનાર માણસે નિસાસા નાંખ્યા ને તો એનો વિજય ક્યારે હારમાં ફેરવાઈ જશે એ નક્કી પણ નહીં કરી શકાશે.
ખોટા પુરાવાઓ રજુ કરી બીજાને ખોટા તો સાબિત કરી દઈશું પણ એ વિજયનો આનંદ અનુભવાશે નહીં. ખોટી રીતે ખોટો સાબિત થયેલ વ્યક્તિની બદદુઆ એ વિજયનો સતત પીછો કરતી હશે અને ગમે ત્યારે એ વિજય પરાજયમાં ફેરવાઈ જશે.
પોતાનું લક્ષ્ય નિર્ધારીત કરીને એને પ્રાપ્ત કરવાથી મોટો કોઈ વિજય હોતો નથી. પરંતુ આ લક્ષ્ય કાયમ માટે હાંસલ થયું છે કે હંગામી ધોરણે એનો સંપૂર્ણ આધાર એને મેળવવા માટે વપરાયેલ પદ્ધતિ પર છે. ખોટા રસ્તે હાંસલ કરેલ લક્ષ્ય થોડા સમય પછી નુકસાન કરશે જ્યારે સાચા રસ્તે મેળવેલ લક્ષ્ય જિંદગીભર વિજયના આનંદની અનુભૂતિ કરાવશે. વિજય માલ્યા, નીરવ મોદી અને બીજા તો આવા થોડા ઉદાહરણો છે જ આપણી સમક્ષ. ટૂંકા ગાળામાં સફળતા મેળવવામાં જે ટૂંકા રસ્તા અપનાવ્યા તેનું પરિણામ તેમની સામે છે.
પરંતુ અંતે તો બધી બાબતોમાં વિજય પ્રાપ્ત કર્યા પછી પણ જો કોઈ વ્યક્તિને ન જીતી શકો કે કોઈ પણ જીવ પ્રત્યે દયા, કરુણા કે મમતાના ભાવ ઉત્પન્ન ન થતા હોય ને તો બધાં જ વિજય નકામા છે.
#વિજય