આ એકમની રાત પૂનમ પછી ચાંદ એવો જ ખીલેલો હતો. તારાઓના બદલાતા સ્થાનને હું જોઈ રહ્યો હતો. એક સ્વયંપ્રકાશિત અને સ્વાભિમાન તારો પણ તમામ જ્ઞાન અને શક્તિને એક બાજુ રાખી નિયતીના ચક્રમાં સામેલ થાય છે. એક તારો પણ આ સત્યતાની કટુતા પચાવવાનું સામર્થ્ય રાખે છે. શુ માણસ પણ તમામ ભૂલોને કે ગેરસમજણને ભૂલી બે પગલાં શાંતિ અને પ્રેમની તરફ ન ચાલી શકે. આ એ જ માણસ છે ને જેની પાસે પોતાનું કશું જ નથી. શ્વાસ પણ ઉપરથી બીજાના ઉછીનાં લઈ આવે છે.
જન્મથી જ માણસને સ્વાર્થના ઘૂંટડાનું પાન કરાવી માણસને માણસ રહેવા દેવામાં જ નથી આવતો. ધર્મ અને જાતિ, જમીન અને સંપત્તિ, સ્થાવર અને જંગમમાં વહેંચી એક હિંસક જાનવર બનાવી દેવામાં આવે છે. પ્રેમની પરિભાષા શબ્દોમાં રાખી સ્વાર્થના આવરણ ચડાવી અને સમાજમાં ખુલ્લો મૂકી દેવામાં આવે છે. સ્વાર્થ વૃત્તિ એટલી તીવ્ર બની છે કે જંગલના પ્રાણી પર હવે ગામમાં આવા લાગ્યા છે.
મનોજ સંતોકી માનસ