આવે એને આવવા દે ને જે જાયે એને આજે અલવિદા દે.
તું નક્કી કાંઈ ના કર જીવનમાં જે કાંઈ બને એને થવા દે.
તાપણાંમાં અગ્નિ પ્રગટે તો તમારી ઠંડી આજે દૂર થાય,
થાક ના ,કર યત્ન, થોડી ફૂંક દે ને થોડી તું એને હવા દે.
માફી ના આપું સનમ તુજ બેવફાઈને એ ઘાવો મુજ કહે છે,
આકરા ઘાવો એ સાચું પણ જે તરછોડે તને એને જવા દે.
પિંજરામાં પંખી સંબંધોનું સદાથી ગૂંગળાઇ ને મરે છે,
પીંજરું ખોલી દે,ઉડવા દે ને સંબંધોને તું થોડી જગા દે.
દિલને જ્યારે જ્યારે વાગે ત્યારે ત્યારે નિત અસર જોવા મળે છે,
દર્દ નાઈલાજ ક્યાં છે દિલ? સમજ દે દિલને ને કડવી દવા દે.
તારે આગળ વધવું પણ અટકાવમાં તું પોતે એ સ્વીકારી લેજે,
જિંદગી ચાલી રહી અટકાવ સાથે ત્યાં વિચારો તું નવા દે.
જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'