ગુજરાતી ગઝલમાં ખુમારી લખો એટલે પ્રથમ નામ ઘાયલનું લખવું પડે.નામ :અમૃતલાલ લાલજી ભટ્ટ જન્મ: સરધાર,રાજકોટ...
આજે એમનો જન્મદિવસ છે.ઘાયલની સર્જનપ્રક્રિયા પણ રોમાંચિત કરે એવી પરંતુ અહી કેટલાક શેર ટાંકીને એમની ઓળખ આપવી છે. ઘાયલની ગઝલોમાંથી પસાર થતાં યુધ્ધાભ્યાસ જેવું લાગે.દર્દ,વિરહ,ગમ તો મળે જ પરંતુ એથી આગળ સઘળુ સહન કરીને એ બધાથી પર ખુમારીનો એક પ્રમુખભાવ જે શહિદ થતાં સૈનિકનાં આભામંડળ જેવો એમની ગઝલોમાં સાપડે છે.એમની ગઝલબાની જીવનનાં દરેક ભાવને જુસ્સાથી રજુ કરે છે અને હ્રદય સુધી પહોચે છે.
જુઓ.....
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!
---------------------------------------------------------
દુ:ખ પ્રીતનું જ્યાંત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.
--------------------------------------------------------
જેવો તેવોય એક શાયર છું,
દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું.
શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું,
યાને હું નિત્ય છું, નિરંતર છું.
--------------------------------------------------------
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું
--------------------------------------------------------
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.
--------------------------------------------------------
દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર,
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.
આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર,
કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર.
--------------------------------------------------------
થોડો ઝાઝો હિસાબ તો આપો,
ખોટો સાચો જવાબ તો આપો
બાગમાં ભાગ છે અમારો પણ
એક વાસી ગુલાબ તો આપો !
--------------------------------------------------------
ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.
--------------------------------------------------------
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !
--------------------------------------------------------
કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ