રાષ્ટ્રીયઃ લોકસભામાં 10 ટકા સવર્ણો માટેનો ખરડો ગઇકાલે પસાર થઇ જતા આજે તેને વિપક્ષોની મંજૂરી માટે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ખરડાની ચર્ચા દરમિયાન વિપક્ષે માગ કરી કે ખરડાને સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવે તેમજ ઉમેર્યું હતું કે અમે ખરડાની વિરુદ્ધમાં નથી પરંતુ જે રીતે રજૂ કરાયો છે તે યોગ્ય નથી. દરમિયાનમાં સમાજવાદી પાર્ટીએ ઓબીસીને પણ 54 ટકા ક્વોટા આપવામાં આવે તેવી માગ કરી છે.
વર્લ્ડ બેન્કઃ પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈંદ્રા નૂઈ(62) વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદની રેસમાં સામેલ છે. અમેરિકાની ન્યુઝ વેબસાઈટ એક્સિઓસે મંગળવારે આ માહિતી આપી છે. વર્લ્ડ બેન્કના અધ્યક્ષ જિમ યોન્ગે સોમવારે અચાનક રાજીનામાની જાહેરાત કરી હતી કે તે 1લી ફેબ્રુઆરીએ પદ છોડશે. ઈન્દ્રા નૂયી વર્લ્ડ બેન્કના અધ્યક્ષ બનશે તો ઈતિહાસમાં પ્રથમ વાર એવું બનશે કે કોઈ બિન અમેરિકન આ જવાબદારી સંભાળશે.
બજેટઃ કેબિનેટની સંસદીય બાબતો સાથે જોડાયેલી સમિતિએ બુધવારે નિર્ણય લીધો હતો કે આ વખતે વચગાળાનું બજેટ 1લી ફેબ્રુઆરીએ રજૂ થશે. તેના માટે કેબિનેટે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી વચ્ચે કરાવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે જે વર્ષમાં લોકસભાની ચૂંટણી હોય છે તે વર્ષે નાણા મંત્રી મધ્યમવર્તી બજેટ રજૂ કરે છે. આ બજેટ કેટલાંક મહિનાઓના સરકારી કામકાજ ચલાવવા માટે જ હોય છે. નવી સરકાર બન્યાં પછી જુલાઈમાં અનુપૂરક બજેટ રજૂ કરવામાં આવે છે.
ગુજરાતઃ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીની જીતને પડાકારતી અરજીને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ મામલે હાઈકોર્ટે તપાસ માટે નિર્દેશ જાહેર કર્યો છે. જેને પગલે ભુપેન્દ્રસિંહે ચૂંટણીમાં ગેરરીતિ આચરી છે કે કેમ તે અંગે હવે તપાસ થશે. જો ગેરરીતિ થઈ હોય તો જીત રદ્દ કરવી કે કેમ એ પણ મહત્વનો મુદ્દો ફ્રેમ કર્યો છે. આ તમામ મુદ્દાઓ અરજદાર અશ્વિન રાઠોડે સાબિત કરવા પડશે. જો આ બંને મુદ્દાઓ પુરવાર થાય તો ભુપેન્દ્રસિંહનું ધારાસભ્ય પદ જઈ શકે છે.
ગુજરાતઃ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. એસઆઈટીની 5 ટીમો બનાવીને હત્યાના મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસ કામગીરીને વેગ આપવા માટે આ ટીમો વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
એર ઇન્ડિયાઃ આર્થિક સંકટમાં ફસાયેલી એર ઇન્ડિયાને આગામી વર્ષે રૂ. 7000 કરોડ રૂપિયામાં વેચી શકે છે. એક સરકારી અધિકારીના અનુસાર સરકાર નાણાંકીય વર્ષ 2019-2020ના ઉત્તરાર્ધમાં તેના વેચાણની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
અમિતાભે કરી ગાડામાં મુસાફરીઃ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન છેલ્લા થોડા દિવસોથી પોતાની ફિલ્મ ‘ઝૂંડ’ના શુટીંગ માટે નાગપુરમાં હતા. તેની તસવીરો ખુદ અમિતાભે શેર કરી હતી. અમિતાભે અહીં બળદગાડામાં સવારી કરી તો ક્યાંક થાકીને ખાટલા પર આરામ ફરમાવતા દેખાયા હતા. તો ક્યાંક બસની બારીમાંથી બહાર જોતા જોવા મળ્યા હતા તો ક્યાંક કુવાની પાળ પર બેઠા હતા.
રાષ્ટ્રીયઃ સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકાર હવે રાંધણ ઇંધણની સબસિડીની માત્રામાં વધારાનો નિર્ણય કરી શકે છે. તે અનુસાર સરકાર પીએનજી અને બાયોગેસ પર પણ સબસિડી આપી શકે છે. હાલમા એલપીજી અને કેરોસિન પર જ સરકારી છૂટ મળે છે.
માર્કેટઃ શેરબજારમાં આજે પણ બેન્કિંગ અને ફાસ્ટ મુવીંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (એફએમસીજી) શેરોમાં થયેલા વધારાને પગલે તેજી અવિરત પણે રહી હતી. જેના પરિણામે એસએન્ડપી બીએસઇ સેન્સેક્સ 232 પોઇન્ટ વધીને 36,213 પોઇન્ટ અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 53 પોઇન્ટ વધીને 10,855 પોઇન્ટની સપાટીએ બંધ આવી હતી.