રામમંદીરઃ રામમંદીર પર કાનૂની પ્રક્રિયા બાદ જ વટહુકમ લાવવાના પીએમ મોદીના નિવેદન પર વિશ્વ હિંદુ પરિષદે ટિપ્પણી કરી છે. વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે એક બાજુ મોદીના નિવેદન સામે અસંમતિ દર્શાવતા કહ્યું કે હિંદુ સમાજ મંદીર નિર્માણ માટે અનંત કાળ સુધી રાહ જોઇ શકે નહી. તેનાથી પહેલા મંગળવાર જ આરએસએસે પણ પીએમ મોદીના નિવેદન પરની પ્રતિક્રિયામા જણાવ્યું હતું કે તેમના કાર્યકાળમાં જ મંદીરનું નિર્માણ થવું જોઇએ.
બેન્કિંગઃ કેન્દ્રિય કેબિનેટે બેન્ક ઓફ બરોડામાં વિજયા બેન્ક અને દેના બેન્કના મર્જરને લીલીઝંડી આપી દીધી છે. બુધવારે કેન્દ્રિય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. મર્જર બાદ બનનારુ એકમ એસબીઆઇ અને આઇસીઆઇસીઆઇ બેન્ક પછી દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી બેન્ક હશે.
સિંઘાનીયા વિવાદઃ વિજયપત સિંઘાનીયાએ ત્રણ વર્ષ પહેલા રેમંડ ગ્રુપની માલિકી પોતાના દિકરા ગૌતમ સિંઘાનીયાને સોંપી દીધી હતી. ત્યારે તેમણે માન્યુ હતું કે અબજોના ટેક્સ્ટાઇલ બિઝનેસ પરિવાર પાસે જ રહેશે. પરંતુ તેમણે આરોપ મુક્યો છે કે જે દિકરાને આટલો મોટો કારોબાર સોંપી દીધો તેણે જ ફક્ત કંપનીની ઓફિસમાંથી જ નહી પરંતુ પોતાના ફ્લેટમાંથી પણ બહાર કાઢી મુક્યા છે. હવે પોતાના દિકરાને આપેલી પ્રોપર્ટી પાછી લેવાની લડાઇ લડવા માગે છે.
ગુજરાતઃ દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના હિસ્સામાં ગુજરાતમાં સૌથી વધુ 22 ટકાનો ઘટાડો છેલ્લા સાત વર્ષમાં નોંધાયો છે. તેની સામે ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનો રાજ્યમાં હિસ્સો 20.2 ટકા વધ્યો છે, જે દેશમાં સૌથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. આ આંકડાઓ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનલ પ્લાનીંગ એન્ડ એડમિનીસ્ટ્રેશન (નેપા) દ્વારા પ્રસારિત તાજેતરના ‘કંસટ્રેશન ઓફ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ ઇન ઇન્ડિયા’નામના એક અહેવાલમાં દર્શાવવામાં આવ્યા છે.
માર્કેટઃ ટ્રેડિંગના પ્રારંભમાં જ ઓટો સેકટરમાં વેચવાલીથી ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ સેકટરે પણ રોકાણકારોને નિરાશ કર્યા હતા. કારોબારના અંતમાં સેન્સેકસ 363 અંકના ઘટાડા સાથે 35891ની સપાટીએ બંધ રહ્યો હતો. જયારે નિફ્ટી 117 અંકના ઘટાડા સાથે 10792ની સપાટીએ બંધ થયો હતો. બીએસઈમાં સ્મોલકેપ ઈન્ડેકસ પણ 108 અંકના ઘટાડા સાથે 14658ની સપાટીએ બંધ રહ્યો હતો. જયારે મિડકેપ ઈન્ડેકસ 194 અંકના ઘટાડા સાથે 15232ની સપાટીએ બંધ થયો હતો.
સબરીમાલા મંદીરઃ કેરળમાં સબરીમાલા મંદીરમાં આજે 50 વર્ષથી ઓછી વયની બે મહિલાઓએ પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ મંદીરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન પિનરઇ વિજયને મહિલા શ્રદ્ધાળુઓને પૂરી સુરક્ષા આપવાના નિર્દેશ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે મહિલાઓને પ્રવેશની મંજૂરી આપ્યા બાદ લગભગ ત્રણ મહિના પછી પહેલી વાર મહિલાઓએ ભગવાન અયપ્પાના દર્શન કર્યા હતા. આવું 800 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર બન્યુ છે.
જેટ એરવેઝઃ દેવા હેઠળ લદાયેલી જેટ એરવેઝ લિમીટેડે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમને કરવાની થતી ચૂકવણીમાં વિલંબ કર્યો છે. ટેમ્પરરી કેશ ફ્લો મિસમેચને કારણે વ્યાજ અને મૂળ રકમની ચૂકવણીમાં વિલંબ કરવામાં આવ્યો છે. ચૂકવણીની છેલ્લી તારીખ 31 ડીસેમ્બર 2018 હતી એમ જેટ એરવેઝે એક યાદીમાં જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે જેટ એરવેઝે પોતાના કર્મચારીઓ, લિઝ, અને વેન્ડર્સને પણ પૈસા ચૂકવવાના બાકી છે.
વોડાફોન-આઇડીયાઃ ટેલિકોમ ક્ષેત્રે પ્રવર્તી રહેલી તીવ્ર સ્પર્ધાએ આ ક્ષેત્રના શેરોને ધોઇ નાખ્યા છે. જેમાં વોડાફોન આઇડીયાના શેરે એમએસસીઆઇ એશિયા પેસિફિક ઇન્ડેક્સમાં 2018માં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. પાછલા વર્ષે આ શેર 65 ટકા નીચે હતો.