કાશ્મીરઃ કાશ્મીરમાં શનિવારે લશ્કર અને સુરક્ષા જવાનો દ્વારા 3 આતંકવાદીઓને ઠાર કરવાના વિરોધમાં નાગિરકો માર્ગો પર ઉતરી આવ્યા હતા જામં 8 નાગરિકોના મોત નીપજ્યા હતા અને કેટલાકને ઇજા થઇ હતી. તેના વિરોધમાં અલગતવાદીઓએ રવિવારે બંધનું એલાન આપ્યું હતું. પરંતુ સરકારે તકેદારીના પગલાં રૂપે શ્રીનગર અને પુલવામામાં લોકોની અવરજવર પર પ્રતિબંધો લાદ્યા હતા. દરમિયાનમાં સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. જનજીવન ઠપ થઇ ગયું છે તેમજ આ બન્ને વિસ્તારોમાં 144મી કલમ લાગુ પાડવામાં આવી છે, તદુપરાંત સંવેદનશીલ વિસ્તારાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. વધુમાં જોઇન્ટ રેઝિસ્ટન્સ લિડરશિપ દ્વારા આખા કાશ્મીરમાં રવિવારે બંધ અને હડતાલનું એલાન આપવામાં વ્યું હતું.
રાષ્ટ્રીયઃ માલદીવના પ્રેસિડન્ટ ઇબ્રાહીમ સોલીહ રવિવારે ભારતના ત્રણ દિવસીય મુલાકાત માટે આવી પહોંચ્યા છે. જે દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બન્ને દેશો વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવવા માટે વાતચીત કરશે. પાછલા સપ્ટેમ્બરામં માલદીવના સ્ટ્રોંગમેન ગણાતા અબ્દુલ્લા યામીનને હરાવનાર સોલીહ હોદ્દો પ્રાપ્ત કર્યા બાદ પોતાની પ્રથમ મુલાકાતમાં ગઇકાલે બપોરે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા. તેઓ ભારતના સરકારના મહેમાન તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં ઉતર્યા છે. એક જાહેર પ્રસંગમાં બોલતા સોલીહે ભારતને માલદીવ્સના નજીકના મિત્ર તરીકે ગણાવવાની સાથે અનેક અગત્યના ટ્રેડિંગ ભાગીદારોમાંનું એક તરીકે પણ ગણાવ્યું હતું.
શેરબજારઃ શુક્રવાર શેરબજાર માટે કોન્સોલિડેશનનો દિવસ રહ્યો હતો, પરંતુ સૌથી મોટું સકારાત્મક બાબત ગણો તો નિફ્ટી50 તેનુ 10800નું સ્તર જાળવવામાં સફળ રહી હતી. શુક્રવારે દલાલ સ્ટ્રીટ પર એસએન્ડપી બીએસઇ સેન્સેક્સ 33 પોઇન્ટ વધીને 35,962 પર અને નિફ્ટી 13 પોઇન્ટ વધીને 10,805ના મથાળે રહી હતી. આજના કારોબારમાં મુખ્ય સમાચારો જેમ કે નિકાસમાં 0.8 ટકાનો વધારો, જોકે વેપાર ખાધ વધુ બહોળી બનીને 16.6 અબજ થઇ છે, સોનાની આયાત છેલ્લા એક મહિનામાં 15.6 ટકા ઘટીને 2.75 અબજ ડોલરના સ્તરે હોવા છતાં વેપાર ખાધ વઘધી છે. બીજી બાજુ આયાત 4.31 ટકા વધીને સમીક્ષા હેઠળના ગાળામાં 43.17 અબજ ડોલરની થઇ છે, જેના કારણે વેપાર ખાધ વધી છે. આ સમાચારોને નજરમાં રાખતા નિષ્ણાતો માને છે કે તેજીવાળાઓની બજાર પર પક્કડ રહેશે, જેમાં નિફ્ટીનું મથાળું 10,930ની વચ્ચે રહેશે. પરંતુ જો 10,750ની સપાટી તોડશે તો વેચવાલીને વેગ મળશે અને નિફ્ટીને 10560ના ટાર્ગેટ સુધી ધકેલી શકે છે.
રીક્ષા હડતાલઃ આજે અમદાવાદમાં પોતાની પડતર માગણીઓના મુદ્દે હજારો રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરનાર છે. જેના કારણે રેલવેસ્ટેશન, એસટી, એરપોર્ટ અને હોસ્પિટલ જતા નાગરિકોની પરેશાનીઓમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એરપોર્ટ ખાતે 150 ઓટોરિક્ષા સ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર 200 સ્ટેન્ડ તેમજ શહેરના વિવિધ વિસ્તારાં થિયેટર, મોલ, સ્કુલ, હોસ્પિટલ, કોમ્પ્લક્સ કે જ્યાં વધુ વાહનોની જરૂરિયાત હોત તેવા સ્થળોએ નિયમિત ધોરણે ઓટોરિક્ષા ફાળવવામાં આવી હતી.
સ્પોર્ટ્સઃ ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂરફાઇનલ્સનું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. સિંધુ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની ફાઇનલમાં અગાઉની ચેમ્પીયન જાપાનની નોજોમી ઓકુહારાને 62 મિનીટ સુધી ચાલેલી મેચમાં 21-19, 21-17થી પરાજય આપીને ચેમ્પીયન બની હતી. સિંધુનું આ વર્ષે પ્રથમ અને કારકીર્દીનું 14મુ ટાઇટલ હતું. સિંધુનો ઓકુહારા સામે આ 13મો મુકાબલો હતો, જેમાં તેણે સાતમી વખત જીત હાંસલ કરી હતી. ઉપરાંત સિંધુએ સેમિફાઇનલમાં થાઇલેન્ડની રત્ચાનોક ઇન્તાનોનને હરાવી સતત બીજા વર્ષે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિંધુનો ગયા વર્ષે ફાઇનલમાં અકાને યામાગુચી સામે પરાજય થયો હતો. તેણે આ વખતે ઓકુહારાને હરાવી ટાઇટલ જીતી લુધી હતું. સિંધુ આ સાથે વર્લ્ડ ટૂર ફાઇનલ્સનું ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બની ગઇ છે.