(Part - 3 )
સાંજ પડી એટલે માલવે કામિની અને છોકરાંઓને પિઝા ખાવા મોકલી આપ્યાં. પોતે ધાબા પર જઇને તપાસ કરી આવ્યો કે ત્યાં કોઈ હતું નહીં. આડોશપાડોશનાં ઘર પણ બંધ હતાં. બધું પોતાના પ્લાન પ્રમાણે જ હતું, એટલે માલવે ઘરમાં આવીને કહ્યું:’ ચાલ બા, આપણે થોડીવાર ખુલ્લામાં ધાબા પર જઈને બેસીએ… તું આખો દહાડો ઘરમાં બેસીને કંટાળી જાય છે ને.’
‘પણ બેટા, મારાથી ક્યાં પગથિયાં ચઢાય છે.’ જશોદાબેન બોલ્યાં.
‘એ તો હું તને ચઢાવી દઈશ, બા… તું તારે ચાલને મારી સાથે’ માલવે આગ્રહ કર્યો.
‘તો ચાલ.’ માલવના આગ્રહને વશ થઈને જશોદાબેન કમને તૈયાર થયાં.
બા પગથિયાં સુધી તો ધીમેધીમે પહોંચ્યાં, પરંતુ પહેલું પગથીયું તો માલવનો ટેકો લીધા પછી ય માંડમાંડ ચડી શક્યાં. એટલે કંટાળીને બોલ્યાં: મારાથી નહિ ચડાય, રેવા દે બેટા, હું તો ઘરમાં જ ઠીક છું.’
‘ના કેમ ચઢાય? ચાલ હું ટેકો કરું છું.’ માલવ કોઈ પણ હિસાબે પોતાનો આજનો પ્લાન ચૂકવા માંગતો નહોતો.
માલવના ઘણા પ્રયત્ન પછી પણ બા બીજું પગથીયું માંડમાંડ ચડ્યાં. એટલે મરણીયા થયેલ માલવે બા ને ઊંચકી જ લીધાં અને દાદરો ચડવા માંડ્યો. ત્રણ-ચાર પગથીયાં ચડતાં માલવ થોડો થાકેલો દેખાયો, એટલે મા નું હૃદય પોકારી ઉઠ્યું: ’બેટા, તું મારા માટે આટલો દુઃખી શું કરવા થાય છે? મારે એવું કંઇ ધાબા પર જવું નથી.’
‘એક વાર કીધું ને! ઉપર જવાનું જ છે.’ માલવ કરડા અવાજે છાકોટાથી બોલ્યો.
માલવના અવાજના રણકાથી જશોદાબેન થોડાં ચમકી ગયાં. માલવના ચહેરા અને આંખોના ભાવ પરથી અને ‘ઉપર જવાના’ શબ્દો સાંભળી જશોદાબેન જાણે કે માલવનો ઈરાદો કળી ગયાં. એક જ ક્ષણમાં આઘાત પચાવીને જશોદાબેન વિચારી રહ્યાં: બિચારો માલવ પણ શું કરે? એક તો ધંધો બરાબર ચાલે નહિ, વળી શહેરના ખર્ચા, એમાં મારી દવાનો ખરચ અને પાછી પથારીવશ મા ની સેવા પણ કરવાની.. બિચારો કેટલું કરે… અને મારી તો જિંદગી આમેય પુરી થઇ ગઈ છે… હવે મારે વધારે જીવીને ય શું કરવું છે… હરી હરી… જે થાય છે તે સારા માટે… દીકરો સુખી થતો હોય તો ભલે એમ થાય… જશોદાબેને મન વાળી લીધું.
બાને ઊંચકીને દાદરો ચડી રહેલ માલવ દાદરાના વળાંકમાં વળ્યો, તેવામાં જશોદાબેનની નજર ખૂણામાં લાગેલ સીસીટીવી પર પડી. એ સાથે જ માનું હૃદય બોલી ઉઠ્યું:’બેટા, આ કેમેરા ચાલુ છે, તું પકડાઈ જઈશ.’
તે સાથે જ માલવે કેમેરા તરફ જોયું અને તેને જાણે કે વીજળીનો આંચકો લાગ્યો. તેણે જે જડબેસલાક પ્લાન બનાવ્યો હતો, એમાં આ નબળી કડી તો પોતે ભૂલી જ ગયો હતો. અને ‘પકડાઈ જઈશ’ શબ્દો સાંભળીને માલવને બીજો આંચકો પણ લાગ્યો, કારણ કે પોતે બા ને ધાબા પર પરાણે શું કામ લઇ જતો હતો, તે બા સમજી ગયાં હતાં.
ઉપરાછાપરી લાગેલા બે આંચકાથી માલવના મન પર કબજો જમાવી બેઠેલો શેતાન હટી ગયો અને તે સાથે જ થંભી ગયેલા માલવના પગ પાણી-પાણી થઇ ગયા, શરીરમાં શરમ અને લાચારીને લીધે ધ્રુજારી પ્રસરી ગઈ અને મોંઢું રડમસ થઇ ગયું. બા ને ખોળામાં રાખીને જ તે પગથિયાં પર ફસકી પડ્યો અને જશોદાબેન તરફ જોઇને માંડમાંડ બોલ્યો: ’બા…’ અને તે સાથેજ તેણે એક ડૂસકું ખાધું.
ક્રમશઃ....