❤️પ્રેમ સમજવાની બાબત છે💞સમજાવવાની નહીં❤️
પહેલાંના સમયમાં પ્રેમની શરૂઆત એટલી ધીમી થતી, કે
સામેના પાત્રને એની જાણ કરવા માટે
મહિનાઓ, કે વર્ષો પણ લાગી જતા.
એ સમયે કોઈ મધ્યસ્થી, કે પછી ચિઠ્ઠીના સહારાની અચૂક જરૂર પડતી.
જો કોઈ મધ્યસ્થી દ્વારા જાણ કરવાનો મનમાં વિચાર આવે તો.....
મધ્યસ્થીને શું કહું ? કેવી રીતે કહું ? ફલાણા વ્યક્તિ દ્વારા કહું, કે ઢીંકણા વ્યક્તિને વચ્ચે રાખું ? કે પછી
ડાયરેક્ટ ચિઠ્ઠી લખી નાખું ?
ચિઠ્ઠી લખું તો એમાં શું લખું ?
કેટલું અને કેવું લખું ?
અને આમ આટલું વિચારવામાં, ને વિચારવામાં લગભગ મહિનાઓ, અને અમુક કિસ્સાઓમાં તો વર્ષો પણ નીકળી જતાં, અને અમુક પ્રેમ તો એવા થતાં, કે જાણ કરવામાં મહિનાઓ કે વર્ષો નહીં, પરંતુ સામેનું પાત્ર જ જીવનમાંથી ( અહીં હાથમાંથી ન લખાય ) નીકળી જતું,
મતલબ કે, કોઈ એક પાત્ર અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી પોતાના અલગ સંસારના શ્રી ગણેશ કરી લેતું.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે,
એ સમયે સૌથી વધારે વિચાર સામેના પાત્રનો કરવામાં આવતો, જેમકે...
એને ખોટું તો નહીં લાગે ને ?
હું આમ કહું, કે આમ લખું તો એને નહીં ગમે.
આવું આવું વિચારીને આઠ દસ ચિઠ્ઠી તો ફાડી નાખી હોય, અને અગિયારમી ચિઠ્ઠી લખવાની તૈયારી કરતી વખતે પણ પહેલો વિચાર તો સામેની વ્યક્તિની પસંદ ના પસંદનો કરવામાં આવતો, કેમકે
"હું એને પ્રેમ કરું છું, એની સાથે જીંદગી જીવવા માંગુ છું"
અને અત્યારે ભલે જમાનો મોડર્ન, ઝડપી, અને ટેકનોલોજીનો છે, કપડાં, રહેણી કરણી, બધું બદલીએ, પરંતુ પ્રેમ તો પ્રેમ છે યાર,
એને કેવી રીતે બદલાય ?
અને જો બદલાય તો પછી એને પ્રેમ કેવી રીતે કહેવાય ? કારણ કે પ્રેમ એ પ્રેમ છે, અને એ બંને બાજુથી, કાયમ માટે, બંને વચ્ચે જ રહેવાનો, અને રોજબરોજ, દિન-પ્રતિદિન વધતો ને વધતો જ રહેવાનો, કેમકે એતો પ્રેમનો મૂળ સ્વભાવ છે.
ટૂંકમાં એટલું માનવાનું કે, જ્યાં સુધી
અમે બંને પુરી જિંદગી એકબીજા સાથે રહી શકીશું, એટલો વિશ્વાસ બંનેને એકબીજા પર નહીં, પોતપોતાના પર ન આવે, ત્યાં સુધી જે તે બે વ્યક્તિ વચ્ચેના સંબંધને પ્રેમનું નામ ન આપવું જોઈએ.
અને આ ત્યારે જ શક્ય બને કે જ્યારે બંને વ્યક્તિ એકબીજાને સારામાં સારી રીતે સમજે, ઓળખે, અને સાંભળે, તેમજ, સમજ્યા, ઓળખ્યા અને સાંભળ્યાં પછી પણ જો કોઈ કોઈવાર મતભેદ જેવું લાગે, ત્યારે એકબીજાને જવાબ આપતા પહેલા, સામેનો વ્યક્તિ મે પોતે પસંદ કરેલ મારો પ્રેમ છે, મારી જિંદગી છે, બસ આટલું વિચારી, થોડો સમય લઈને નિર્ણય લેવો, તો જીવનમાં ગમે તેવા, ને ગમે તેટલા મતભેદો ઉભા થાય, પરંતુ એ બે પ્રેમીઓ વચ્ચે પોતાની જગ્યા ક્યારેય નહીં બનાવી શકે, એ હકીકત છે.
એના માટે બંને લોકોએ ભેગા થતાં સમયે, પ્રેમમાં બંધાતા સમયે પોતપોતાને, અને એકબીજાને પણ, એક વચનમાં બાંધી લેવા કે, અમારા જીવનમાં નાની મોટી ભલે હજ્જારો, લાખ્ખો મુસીબતો, અડચણો, તકલીફો કે ગમે તેવા, અને ગમે તેટલા કપરા, વિકટ કે અતિ વિકટ સંજોગો આવે, અમે બંને એની સામે અડીખમ રહી એનો સામનો કરીશું, કે પછી સહન કરી લઈશું, પરંતુ એમાંથી એકે ને, અમારા બંનેની વચ્ચે નહીં આવવા દઈએ.
પ્રેમ ભલે આપણે કરીએ, પરંતુ આપણે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે, આપણા પ્રેમમાં ઈશ્વરના આશીર્વાદ ભળેલા હોય છે, માટે એનું જતન, અને આદર કરવો, કેમકે એ પણ પૂજાથી ઓછું નથી.