😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
જાણીતા હાસ્યલેખક મન્નુ શેખચલ્લીનો આ લેખ વાંચીને ચહેરા પર સ્મિત ફરકી ગયું. મિત્રો સાથે પણ શૅર કરું છું.
વાંચો, હસો અને મિત્રો સાથે શૅર કરીને તેમને પણ હસાવો. ઓવર ટુ મન્નુ શેખચલ્લી:
વાવાઝોડાના ‘ઘરેલુ’ સિગ્નલો .
આપણા ઘરમાં જ કોઈ વાવાઝોડું આકાર લઈ રહ્યું હોય તો એનાં સિગ્નલો શી રીતે પારખવાં ? સેવ કરી રાખો…
સિગ્નલ નંબર (1)
બોલચાલ અચાનક બંધ થઈ જશે. તોફાન પહેલાંની વિચિત્ર શાંતિ… સંભવિત વાવાઝોડાની પહેલી નિશાની.
સિગ્નલ નંબર (2)
અચાનક રસોડામાંથી કોઈ વાસણ પછડાવાનો અવાજ સંભળાવો… સંભવિત વાવોઝોડાની બીજી નિશાની.
સિગ્નલ નંબર (3)
ચહેરો ફૂલેલો દેખાવો, આંખોની ભ્રુકુટી તંગ સ્થિતિમાં, ચાલવાની, ઉઠવાની-બેસવાની તથા રસોઈ કે કચરાં-પોતાં વગેરે ક્રિયાની ઝડપ અસામાન્ય રીતે વધી જવી…… સંભવિત વાવાઝોડું સક્રિય થવાની ગંભીર નિશાની.
સિગ્નલ નંબર (4)
દૂધનું ઉભરાઈ જવું, દાળનો વઘાર બળી જવો, શાકમાં મીઠું વધારે પડી જવું, રોટલીઓ બળેલી-દાઝેલી ઉતરવી… વગેરે સંભવિત વાવાઝોડું સક્રિય થઈ ચૂક્યું હોવાની પહેલી ‘ચેતવણી’ !
સિગ્નલ નંબર (5)
સાવ સાદા છતાં ખતરનાક લાગતા સવાલોની શરૂઆત : કાલે તમે ક્યાં હતા ? આજે કઈ તારીખ છે ? મેં તમને શું કહ્યું હતું ?
અથવા ઇવન સિમ્પલ ટોનમાં કહેવું કે સાંભળો,
હું શું કહું છું….. ચેતી જાવ !! આ બધી જ વાવાઝોડા પહેલાંની પ્રાથમિક સાયરનો સમજવી.
સિગ્નલ નંબર (6)
અચાનક વિસ્ફોટ !!
જેમાં ખોટાં વખાણ હોય : ના ના, તમે તો બહુ સમજદાર છો ને ! અથવા પોતાના ગુનાની ખોટી કબૂલાત હોય ના ના, હું જ મુરખ છું એમ કહો ને ?
આ સિગ્નલો બે કલાકથી લઈને બે દિવસ સુધી ‘ઓન’ રહી શકે છે. ખતરો હજી ટળ્યો નથી. બચવાના ઉપાયો પણ બચ્યા નથી.
સિગ્નલ નંબર (7)
આંસુઓનો છૂટોછવાયો અથવા ધોધમાર વરસાદ !
આ પછી પણ વાવાઝોડું શમી જશે કે બમણી તાકાત સાથે ફરી ત્રાટકશે તે કોઈ નિષ્ણાતો કહી શકતા નથી .
ઉપાય માત્ર એક જ છે.……..
આ સાતેય સિગ્નલના ખતરામાંથી બચવા માટે જેટલું જલ્દી સોરી ( Sorry ) કહી દેશો તેટલું ઓછું નુકસાન થવાની સંભાવના છે.
(જનહિતમાં જારી)
- મન્નુ શેખચલ્લી.