કારતક માસની આઠમ પર ઉજવવામાં આવે છે ગોપાષ્ટમી. આ દિવસે ખાસ કરીને ગાય અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. તેથી ગાયની સુરક્ષા થાય તે માટે આ પર્વની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
ગોપાષ્ટમીનું સૌથી વધારે મહત્વ વ્રજવાસીઓમાં અને વૈષ્ણવોમાં હોય છે. આ દિવસે સૌથી પહેલીવાર શ્રીકૃષ્ણ ગાય ચરાવવા નીકળ્યા હતા અને તેમની લીલાઓનો પ્રારંભ થયો હતો. આ દિવસની ઉજવણી ત્યારબાદ ખાસ પૂજા અર્ચના કરી કરવામાં આવે છે.
ગોપાષ્ટમીના દિવસે સૂર્યોદય સમયે સ્નાનાદિ કર્મ કરી ગાયોને સ્નાન કરાવવામાં આવે છે અને ગાયને હળદરની છાપ કરવામાં આવે છે. આ દિવસે ગાય અને તેના વાછરડાની પૂજા કરવાનું વિધાન હોય છે. એવી માન્યતા છે કે આજના દિવસે ગાયના પગ વચ્ચેથી પસાર થનારને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ગાયની પૂજા, ધૂપ દીપથી કરવામાં આવે છે.
વ્રજમાં આજના દિવસે ગોવાળોને ખાસ ભેટ પણ આપવામાં આવે છે. ગાયને લીલું ઘાસ ખવડાવી તેની પરીક્રમા કરવામાં આવે છે. ગાય જ્યારે સંધ્યા સમયે પરત ફરે છે ત્યારે તેના પગ ધોઈ અને તેને તિલક કરી ફરી પૂજા કરવામાં આવે છે.