શબ્દોમાં ના સમાવી શકાય વિચારો મારા.
અર્થોથી ના ઘટાવી શકાય વિચારો મારા.
શબ્દ અર્થની ઘટમાળથી દૂર રહીને વળી,
વાણી થકી ના વહાવી શકાય વિચારો મારા.
ભાષાની પણ હોય છે એક મર્યાદા ખરી,
પ્રકાશનમાં ના છપાવી શકાય વિચારો મારા.
શરીરની ભાષા કરે કદી મૌન અભિવ્યક્તિ,
બધાંને કૈં ના સમજાવી શકાય વિચારો મારા.
છે એ તો અનુભૂતિ નિજાનંદને પોષનારીને,
વ્યવહારતુલાએ ન તોલી શકાય વિચારો મારા.
સદવિચારો આખરે છે ભેટ પરમપિતા તણી,
પ્રલોભનથી ના પલટાવી શકાય વિચારો મારા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.