દીકરી પ્રત્યે દ્રષ્ટિ
સંબંધોમાં માતા-પિતા અને પુત્રીનો સંબંધ પણ અનોખો અને શ્રેષ્ઠ છે. તેમાં આખી દુનિયા સમાઈ જાય છે. માતાપિતા અને પુત્રીનો સંબંધ પરમાત્માની અવેજીમાં આવતો સંબંધ છે. તેથી તેનું મહત્વ અલગ જ હોય, તેવી જ રીતે મારા આ સંસારરૂપી અને સાદગીભર્યા જીવનમાં માતાપિતાનું કેવળ મહત્વ જ નથી, પરંતુ અલગ અને વિશેષ મહત્વ છે.
કહેવાય છે કે માતા-પિતા પોતાના સંતાન માટે જે કરે છે તે તેના સારા માટે જ કરતા હોય છે. આ પણ એક હકીકત છે કે તે તેના સંતાનને સારા અને નરસાનું જ્ઞાન પણ આપે, જીવનના ઝંઝાવાતો સામે ટકી રહેવાનું બળ પૂરું પાડે છે. જન્મ આપ્યો હોય ત્યારથી સાર-સંભાળ રાખે, ભણાવે- ગણાવે અને જીવનરૂપી જ્ઞાન પણ આપે છે. તેવી જ રીતે મારા માતાપિતા મારો ઉછેર ખૂબ જ લાગણી અને પ્રેમથી કરે છે. તેની સાથે મારી બીજી બંને બહેનોનો ઉછેર પણ એ જ રીતે કરે છે. અમારી ત્રણેયની બધી જ ઇચ્છા તેઓ તુરંત પૂરી કરે છે.
મારા માતા-પિતા ઇચ્છે છે કે અમે ત્રણેય અમારી રીતે પગભર થઈએ. તેઓ અમને બધી જ બાબતમાં મદદ કરે છે. અમને સારામાં સારી શાળામાં ભણાવીને ખૂબ જ સારું શિક્ષણ આપે છે. આ માટે તેઓ સખત મહેનત કરે છે. અમને ભણાવવાનો તેમને ખૂબ જ શોખ છે. મારું ૧૦માં ધોરણનું પરિણામ આવ્યા બાદ આ રૂઢિચુસ્ત સમાજના ઘણાં લોકોએ મારા માતા-પિતાને કહેલું કે," અરે ભાઈ ! દીકરી ભણીને શુ કરશે? તેને તો સાસરિયામાં ચૂલો જ સંભાળવાનો છે ને. તેને તો ઘરનાં કામકાજ તથા રસોઈ શીખવાડો હવે. દસ ભણી લીધું તેના માટે તે જ સારું છે."
આ વાત સાંભળીને મને ખૂબ જ આધાત લાગ્યો. જેમ ખૂબ પવનથી કેળનું ઝાડ પડી જાય છે તેમ મને પણ એકા એક આધાત લાગ્યો. આ વાત સાંભળીને મારી આંખની જ્યોત બુઝાઇ ગઈ. મારી આંખમાંથી ઝરઝરીયાં ચાલુ થઈ ગયા. મનોમંથન થયું કે હું એક દીકરી છું એટલે આવી વિચારસરણી, જ્યારે દીકરા માટે કેમ અલગ? લાગણીનું રણ મળ્યું અને આવી વાતો!
આ વાત સાંભળીને મારા પિતાની આંખ પણ ઝબકી ઊઠી અને તેમણે કોઈની વાત ન સાંભળી અને બોલ્યા," સહું પવનની જેમ તો આવી મળે, કોઈના જીવનમાં વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ." આ સાથે જ તેમણે કહ્યું કે, " મારી દીકરી મારા આંગણની તુલસી છે. માટે મન અમારી ત્રણેય દીકરીઓ અમારા દીકરા સમાન જ નહીં પરંતુ તેનાથી પણ વિશેષ છે. હું તેમની તમામ ઇચ્છા અને સપના પૂરાં કરવા માગું છું અને હું તે કરીને જ રહીશ."
આ સાંભળી મારા મોં પર પ્રસન્નતા છવાઈ ગઈ. મારા જીવમાં જીવ આવ્યો અને આંખોમાં ઉજજવળ ભવિષ્યની જ્યોત ઝબૂકી. મારી સાથે મારી બંને બહેનો પણ ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ. અમને ત્રણેયને ખૂશ જોઈ અમારા માતાપિતા પણ ખૂબ જ ખુશ થઈ ગયા. મને ગર્વ છે કે હું એવાં માતા પિતાની દીકરી છું જેઓ સમાજના લોકોનું કહેવું ન સાંભળીને અમારા વિશે વિચાર કરે છે. તેઓ બધી જ બાબતમાં અમારો સહારો બને છે. મારા માતા-પિતા જીવનમાં ઘેઘૂર વડલાની માફક અમારો સહારો બન્યા.
(આ કોઈ કાલ્પનિક ઘટના નથી, મારી પોતાની સત્ય ઘટના છે.)