(નોંધ : વાવાઝોડા અને કોરોનાના સમાચાર વાંચીને દુઃખી થઈ ગયેલા લોકોને જરાક હળવાફુલ કરે એવો આર્ટિકલ. જે તમને ચોક્કસ તમારું બચપન યાદ અપાવી દેશે.)
"મેરા યાર હંસ રહા હૈ બારીશ કી જાયે..."
બી પ્રાક એ ગાયેલું એક ગીત આજકાલ સોશિયલ મિડિયામાં ખૂબ સાંભળવા મળી રહ્યું છે. જેના શબ્દો કઈંક આવા છે કે, "એ ખુદા તું બોલ દે તેરે બાદલો કો, મેરા યાર હંસ રહા હૈ બારિશ કી જાયે..." અત્યારે આ બદલાયેલા મોસમને જોઈને લાગે છે કે, સાચે જ ખુદાએ વાદળોને વરસવાનું કહી દીધું છે, નહીંતર આવા ઉનાળામાં વરસાદ આવે!! હવે આ વરસાદ આવ્યો જ છે તો આપણે તો વરસાદની મજા લેવી જ રહી. વરસાદની એક ખાસિયત છે કે, એ ગમે ત્યારે વરસે પણ દરેક માણસને ભીંજવ્યા વગર રહેતો નથી. કોઈને પાણીથી તો કોઈને લાગણીથી તરબોળ કરી નાંખે એવો હોય છે આ વરસાદ.
ઠંડો પવન હોય ,વરસતો વરસાદ હોય અને જોડે ગમતી વ્યક્તિનો સાથ હોય.અહાહા આનાથી વધારે સુંદર ક્ષણ બીજી શું હોય શકે?? વરસાદ વરસે ત્યારે સામાન્ય માણસ ચા સાથે ભજીયા ખાવામાં વ્યસ્ત હોય છે. બીજી બાજુ લેખકો અને કવિઓ પોતાની કલમનું વાવાઝોડું કાગળ પર ઉતારવામાં વ્યસ્ત હોય છે. પહેલો વરસાદ વરસે અને કોઈ કવિ કવિતા ના લખે એવું ભાગ્યે જ બનતું હોય છે. બારી બહાર વરસાદ વરસતો હોય અને કાગળ પર કવિતા વરસતી હોય તો આપણે તો કવિતાથી રેબઝેબ થવું જ પડે. એવામાં રમેશ પારેખ લખે કે, "અહીં આપણે બે અને વરસાદ ભીંજવે મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે" ત્યાં હરીન્દ્ર દવે તો એવું લખે કે, "પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો" મારું એમ માનવું છે કે, માણસનું હૃદય કંઈ વરસાદથી ઓછું નથી. દરેક હૃદય વરસાદથી પણ વધારે લાગણી વરસાવતું જ હોય છે. એટલે જ કદાચ મનોજ્ઞા દેસાઈએ લખ્યું છે કે, "એક તારો વરસાદ અને પેલો વરસાદ જરા નોખો. સૌ સૌના હૈયામાં સૌનો વરસાદ લઈ જો ને વહેતા જાય લોકો" આદિલ મન્સૂરી સાહેબ તો એવું લખે કે, "કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઉઠી વરસાદમાં" આવા વરસાદમાં જ્યારે કોઈ એવું પૂછે કે તમારે ત્યાં કેવો વરસાદ?? તો ધ્રુવ દાદાની પંક્તિઓ ખાસ યાદ આવે કે, "બધી ભાષા ભુલાઈ જાય એવો વરસાદ, હવે કેવો વરસાદ કેમ બોલું, પડતું આકાશ છેક હાથમાં ઝીલાય એની સામે શું કાગળિયા ખોલું"
આ વરસાદ છે ને , એ માણસને ભૂતકાળની કેટલીય મીઠી મીઠી યાદોને તાજી કારવાતો હોય છે.આજે જ્યારે બારીની બહાર વરસાદમાં મસ્ત બનીને ઝૂમતા બાળકોને જોઈએ તો ખરેખર બચપન યાદ આવી જાય. એવામાં વળી કોઈક મિત્રનો મેની ટાઈમ્સ ફોરવર્ડ થયેલો મેસેજ આવી જાય કે, "વો બચન કી અમીરી ન જાને કહાં ખો ગઈ, વરના કભી બારિશ કે પાની મેં હમારે ભી જહાજ ચલા કરતે થે." અંદર બાળપણની યાદો તાજી થતી હોય અને બહાર જગજિતસિંહનું ગીત વાગતું હોય, "વો કાગઝ કી કશ્તી, "વો બારિશ કા પાની..." વળી કોઈક યુવાનને બાઈક લઈને રખડતાં જોઈએ તો ઘણાને પોતાની યુવાની યાદ આવી જાય.
છેલ્લે દિલથી કહું તો રવીન્દ્રનાથ ટાગોરની એક કવિતા યાદ આવે છે:
બાદલ ઓર હવા જો
ફીર સે બચપન યાદ દિલાયે
બારિશ બરશે ટાપુર ટુપુર
પાની ચઢતા જાએ
પાની ચઢતા જાયે
- શિલ્પા પરમાર