આજે અક્ષય તૃતીયા નિમિત્તે સૌને શુભેચ્છાઓ. આમ તો આપણે સૌ જાણીએ જ છીએ કે અક્ષય તૃતીયા જેને આપણે અખા ત્રીજ તરીકે પણ ઓળખીએ છીએ, એ ભગવાન પરશુરામનો જન્મદિવસ છે. ઉપરાંત લગ્નનું વણજોયું મુહૂર્ત. પરંતુ આ સિવાય પણ આ દિવસનો પુરાણોમાં ઘણો મહિમા દર્શાવ્યો છે. ચાલો જાણીએ.
ભારત અને નેપાળના હિંદુઓ અને જૈનો આજનાં દિવસને શુભ દિવસ એટલે કે અનંત સમૃદ્ધિનાં ત્રીજા દિવસ તરીકે ઓળખે છે.
વૃંદાવનમાં બાંકે બિહારીનાં ચરણ કમળના દર્શન માત્ર આજનાં દિવસે જ થાય છે.
આજે કરેલ શુભ કાર્ય, દાન, સૌભાગ્ય, જપ, તપ ક્યારેય પતી જતા નથી. સદાય અક્ષય રહે છે.
મહાભારતના યુદ્ધનો અંત અક્ષય તૃતીયાનાં દિવસે જ થયો હતો.
કાયમ માટે તાકાતવર અને શક્તિમાન રહેવું હોય તો આજનાં દિવસે શક્તિનું પૂજન કરવું જોઈએ.
રાજા ભગીરથે શિવજીને પ્રસન્ન કરી મા ગંગાને પૃથ્વી પર અવતરણ કરાવ્યા એ પણ આજનો જ દિવસ હતો.
મા પાર્વતીએ પોતાનું અન્નપૂર્ણા સ્વરુપ આજનાં દિવસે જ ધારણ કર્યું હતું. આથી ઘરમાં અનાજ, કે ખોરાકની કમી ન રહે તે માટે આજે મા અન્નપૂર્ણાની પૂજા કરવી.
પોતાનું લૂંટાયેલું ધન પુનઃ પ્રાપ્ત કરવા કુબેર ભગવાને શિવજીની આજ્ઞાથી અખાત્રીજનાં રોજ લક્ષ્મી નારાયણની પૂજા કરી પુનઃ પોતાનો ખજાનો મેળવી લીધો હતો.
બદ્રીનાથ જતાં આવતાં માના ગામમાં મહર્ષિ વેદવ્યાસે આજનાં દિવસથી જ ગણેશજી પાસે મહાભારત લખવાનું શરૂ કર્યું હતું.
ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ મંદિરના કપાટ અખાત્રીજના દિવસે જ ખૂલે છે.
યુધિષ્ઠિરે અક્ષયપાત્ર અખાત્રીજનાં દિવસે જ મેળવ્યું હતું. આમાંથી તેઓ ભૂખ્યાને ભોજન આપતા હતા.
શાસ્ત્રો મુજબ દુશાસન દ્રૌપદીને ચીરહરણ માટે સભામાં લાવ્યો હતો એ પણ આજનો જ દિવસ હતો. આથી જ જ્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીનાં ચીર પૂર્યાં તે અક્ષય જ રહ્યાં અને દુ શાસન એને ખેંચી જ ન શક્યો.
સુદામા અને શ્રી કૃષ્ણનું મિલન પણ અખાત્રીજને દિવસે જ થયું હતું.
આજનાં દિવસે જ સતયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો, આથી એને યુગાદિ તિથી પણ કહેવાય છે.
નર નારાયણ, હયગ્રીવ અને પરશુરામ - આ ત્રણેયનું આજે જ અવતરણ થયું હતું.
આજની તિથીએ કરેલ કોઈ પણ શુભ કાર્ય કાયમ માટે રહે છે.
સૌજન્ય:- ચિત્રલેખાનું વેબપેજ
- સ્નેહલ જાની