પતિના અસ્વીકાર કે સાસરિયાના અત્યાચાર પછી દીકરી જ્યારે પહેલીવાર પોતાના ઘરે પાછી ફરે છે ત્યારે મા-બાપ દ્વારા એને ફરી સાસરે મોકલવા જે થાય એને સમજાવટ કહેવાય. બીજી વાર મોકલવામાં આવે, ત્યારે એને સમાધાન કહેવાય. અને બધું જ જાણતા હોવા છતાં દીકરીને જ્યારે ત્રીજીવાર મોકલાય ત્યારે એને શોષણ કહેવાય.
આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ‘એડજસ્ટમેન્ટ’ના બેનર હેઠળ આપણે દીકરીઓને અત્યાચાર સહન કરવાનું શીખવી દઈએ છીએ.
કેટલાક લોકો તો દીકરીઓનો ઉછેર જ એ માટે કરતા હોય છે કે જલ્દીથી કોઈના દ્વારા તેનો સ્વીકાર થાય. આઈ એમ રીઅલી સોરી આયેશા, પર તુમ્હારી ઝિંદગી ઈતની સસ્તી ભી નહીં થી કી તુમ એક ઐસે બંદે કે લિયે જાન દે દો જો તુમ્હે ડિઝર્વ તક નહીં કરતા. જે તમને બિલકુલ પ્રેમ નથી કરતી, એ વ્યક્તિ માટે જીવ આપી દેવાને બદલે શું આપણે એ વ્યક્તિઓ માટે જીવતા ન રહી શકીએ, જેમની દુનિયા જ આપણે છીએ
ઘરમાં એક દીકરીના આગમન માટે જે લોકો રૂપિયા, ગાડી કે material possessions ની ડિમાન્ડ કરે છે, એ ઘર દીકરીને લાયક નથી. જેઓ દહેજની માંગણી કરે છે એ લોકો વેપારી બની શકે, વેવાઈ નહીં. જેમનો સત્કાર જ સોદા અને શરતોને આધિન હોય, એમની પાસેથી સ્વીકારની અપેક્ષા કઈ રીતે રાખી શકાય ?
અને એવા લોકોના રીજેક્શન અને રીએક્શનથી હતાશ થયેલી આપણી દીકરી સાબરમતીમાં ડૂબકી લગાવે, તો બોસ, એના થોડા ગુનેગાર આપણે પણ છીએ.
આપણા સંતાનોને એ વાત આપણે રીપીટેડલી કહ્યા કરવાની જરૂર છે કે લગ્ન ક્યારેય સફળ કે નિષ્ફળ નથી હોતા. એ માત્ર Compatible કે Incompatible હોય છે. વિદાય પહેલા દરેક દીકરીને એ સમજાવવું જરૂરી છે કે લગ્ન એ સાયુજ્યનો એક પ્રમાણિક, નિષ્ઠાવાન અને પવિત્ર પ્રયત્ન છે. એ ઘરમાંથી કાયમી વિદાયનું ‘લીવીંગ સર્ટીફીકેટ’ નથી. કદાચ કોઈ કારણસર લગ્ન ‘વર્ક-આઉટ’ ન થાય, તો એ નિષ્ફળતા ‘કંપેટેબિલિટી’ કે ‘સુસંગતતા’ની છે. એ નિષ્ફળતા દીકરીની નથી.
એક પુરુષ દ્વારા અસ્વીકાર પામેલી સ્ત્રીને આ સમાજ કેટલા સન્માન અને સત્કાર સાથે સ્વીકારી શકે છે, એ વાત પર આ સંસ્કૃત સમાજનું મૂલ્યાંકન થશે. અને બાય ધ વે, આ પુરુષ છે કોણ એક સ્ત્રીને એક્સેપ્ટ કે રીજેક્ટ કરનારો ? ફક્ત સમાજ કે સોસાયટીના ડરથી મારે મારી દીકરીને સમજાવી કે પટાવીને વારંવાર નર્કમાં ધકેલવી પડતી હોય, તો એવા ‘Pseudo-civilization’ની મારે જરૂર નથી. હું મારી દીકરી સાથે એક અલગ દુનિયા બનાવી લઈશ.
એક દીકરી સાથે થતા અન્યાય માટે મારું થ્રેશોલ્ડ વધારે પડતું જ Low છે. મેં તો નક્કી કરી લીધું છે. લગ્ન પછી જે દિવસે મારી દીકરી મને ફોન કરીને કહેશે કે ‘આ ઘરમાં રહેવા કરતા તો મરી જવું સારું’ એ જ ક્ષણે હું એને લેવા માટે નીકળી જઈશ. એના લગ્નમાં જેટલા લોકોને નિમંત્રણ આપેલું, એના કરતા બમણા લોકોને નિમંત્રણ આપીને વાજતે-ગાજતે પૂરા સન્માન સાથે હું એને ઘરે પાછી લાવીશ. અને સમજાવીશ એને કે એક પુરુષના સ્વીકાર કે અસ્વીકારથી તારી સેલ્ફ-વર્થ નક્કી નથી થતી. In spite of everything અને Irrespective of anything આ જીવન જીવવા લાયક છે અને રહેશે.
દીકરી આપીને આપણે એક ઘરને ધામ બનવાનો ચાન્સ આપીએ છીએ. કોઈ મંદિરમાં ઈશ્વરની પ્રાણ-પ્રતિષ્ઠા ન થાય, તો એનાથી ઈશ્વરનું મહત્વ ઘટી નથી જતું.
-ડૉ. નિમિત્ત ઓઝા