આપણું શરીર બે પ્રકારની ‘નર્વસ સીસ્ટમ’ના પ્રભાવમાં હોય છે. સિમ્પથેટીક નર્વસ સીસ્ટમ અને પેરાસિમ્પથેટીક નર્વસ સીસ્ટમ.
સિમ્પથેટીક નર્વસ સીસ્ટમ એટલે એડ્રીનાલિન રશ. ‘ફ્લાઈટ ઓર ફાઈટ રીએક્શન’. જ્યારે આપણે ભય, ચિંતા કે સ્ટ્રેસમાં હોઈએ છીએ, ત્યારે આ નર્વસ સીસ્ટમ એક્ટીવેટ થાય છે. એ આપણને ભયનો સામનો કરવા (ફાઈટ) અથવા તો જોખમી પરીસ્થિતિથી દૂર ભાગી જવા (ફ્લાઈટ) માટે તૈયાર કરે છે. ટૂંકમાં, આ ‘સર્વાઈવલ મોડ’ છે.
ધીમે ધીમે, માનવજાતિ એક સુરક્ષિત અને સલામત સ્થળ પણ રહેઠાણ કરવા લાગી. અત્યારે આપણે ઉત્ક્રાંતિના સર્વોચ્ચ તબક્કામાં છીએ. કૂતરું પાછળ પડ્યું હોય કે લાકડી લઈને કોઈ આપણને મારવા દોડે, એ સિવાય આપણને આ ‘ફ્લાઈટ ઓર ફાઈટ’ રીએક્શનની જરૂર નથી પડતી. પણ તેમ છતાં આ જ સીસ્ટમ અત્યારે આપણને સૌથી વધારે નુકશાન પહોંચાડે છે.
બ્લડ પ્રેશર, હ્રદયરોગ જેવા તમામ રોગોનું મૂળભૂત કારણ સ્ટ્રેસ, ચિંતા કે અજ્ઞાત કારણોસર ઓવર-એક્ટીવેટ થયેલી સિમ્પથેટીક સીસ્ટમ છે.
સૌથી મોટી સમસ્યા એ છે કે ભયથી સુરક્ષિત રાખવા માટે વારંવાર એલર્ટ થઈ જતી આ સીસ્ટમ જ આપણને વધારે નુકશાન પહોંચાડે છે. દેખીતી રીતે આપણી આસપાસ કોઈ ફીઝીકલ થ્રેટ ન હોય ત્યારે પણ આ સીસ્ટમને કારણે આપણે બેચેન અને અસ્વસ્થ રહીએ છીએ.
રસ્તા પર રહેલા કૂતરા સતત એલર્ટ મોડમાં હોય છે. તેમના હાર્ટ-રેટ અને Breathing સતત ઉત્તેજિત અવસ્થામાં હોય છે, કારણકે એ એમની સર્વાઈવલ જરૂરીયાત છે. જેઓ અવેર નથી એવા મનુષ્યો પણ પોતાનું સંપૂર્ણ જીવન આ જ મોડમાં વિતાવી નાખે છે.
નાની નાની વાતોમાં ચિંતા કરવી, કશુંક અશુભ થવાના વિચારો આવવા, નેગેટીવ વિચારીને સ્ટ્રેસ વધારવું, આખું જગત મારી વિરુદ્ધમાં છે એમ માનીને સતત ‘ડીફેન્સીવ’ મોડમાં રહેવું, દરેક વસ્તુ કે વ્યક્તિને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો વગેરે આપણી આ ડીફોલ્ટ સર્વાઈવલ સીસ્ટમનું પરિણામ છે. આ પ્રકારનું બિહેવિયર આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસરો કરે છે. ઊંઘ ઓછી થઈ જાય, વિચારો બંધ જ ન થાય, બેચેની રહ્યા કરે, અસ્વસ્થતા અનુભવાય અને આવું તો કેટલુંય.
એમાંથી બહાર આવવાનો એક જ રસ્તો છે. એની એન્ટી-ડોટ રહેલી આપણી બીજી સીસ્ટમ એટલે કે પેરા-સિમ્પથેટીક નર્વસ સીસ્ટમને એક્ટીવેટ કરવી.
જ્યારે પણ ચિંતા થાય, ભય લાગે, નેગેટીવ વિચારો કરીને હ્રદયના ધબકારા વધી જાય, કશુંક અશુભ થશે એવી ગભરામણ થાય, કોઈ આપણને રીજેક્ટ કરશે, કોઈ સ્વજનનો એક્સીડન્ટ થશે, કોઈ મોટી ખોટ કે નુકશાન જશે વગેરે જેવા ‘વિચારો’થી આપણે ‘ફ્લાઈટ ઓર ફાઈટ’ મોડમાં પ્રવેશીએ, ત્યારે તરત જ એ સમયે “deep” breathing કરવાથી આપણે નર્વસ સીસ્ટમનો મોડ ચેન્જ કરી શકીએ છીએ.
આપણો ઉચ્છવાસનો સમય આપણા શ્વાસ કરતા બમણો કરી નાખવાનો,ચાર સેકન્ડ સુધી ઊંડો શ્વાસ લેવાનો અને પછી તે ધીમે ધીમે આઠ સેકન્ડ્સ સુધી છોડવાનો.
એટલે કે ઊંડો શ્વાસ લેતી વખતે મનમાં ‘એક બે ત્રણ ચાર’ ગણવાના અને પછી મનમાં આઠ ગણીએ ત્યાં સુધી ધીમે ધીમે એ શ્વાસ છોડતા જવાનો. આમ તો કોઈપણ આપણને પેરા-સિમ્પથેટીક મોડમાં લઇ જાય છે પરંતુ ગયા વર્ષે થયેલા બે રીસર્ચ એવું કહે છે કે આ ટેકનીક સૌથી વધારે આપણી વેગસ નર્વ સ્ટીમ્યુલેટ કરે છે.
આ ઉપરાંત ‘Box breathing’ ( 4 :4 :4 breathing technique) પણ એટલી જ ઉપયોગી છે. જેમાં ચાર સેકન્ડ સુધી શ્વાસ લેવાનો, ચાર સેકન્ડ હોલ્ડ કરવાનો અને ચાર સેકન્ડ સુધી છોડવાનો.
આ બંનેમાંથી કોઈપણ ટેકનીકના દસ થી પંદર રીપીટેશન્સ આપણને તત્કાલ અસરથી નિરાંત અને રાહત આપશે. આપણું સ્ટ્રેસ ઓછું કરશે.
-ડૉ. નિમિત્ત ઓઝા