સાચું નુકસાન કયું? કોઈ સાથે સંબંધ તૂટી જવો, ધંધામાં ખોટ જવી, પરીક્ષામાં નાપાસ થવું, કોઈ સ્વજનને ગુમાવવું કે પછી નોકરી ગુમાવવી? આમાંથી કંઈ જ નહીં. સંબંધની નુકસાનીનો આધાર પરસ્પરની સમજણ પર છે. ધંધામાં ખોટ કે ફાયદો તો બજારમાં રહેલી જરૂરિયાત પર આધારિત છે. પરીક્ષામાં નાપાસ એ કોઈ નુકસાન નથી. આખું વર્ષ ભણતરને મજાકમાં લેવાનું પરિણામ છે. કોઈ સ્વજનને ગુમાવવું એ આપણાં હાથની વાત નથી. જે જન્મે છે તે વહેલું મોડું મૃત્યુ પામે જ છે, હા કોઈનું અણધાર્યું મૃત્યુ આપણને શોકમાં ગરકાવ કરી દે છે. ઘરમાં કમાનાર અને ભરણ પોષણ કરનાર જો એક જ વ્યક્તિ હોય અને તે મૃત્યુ પામે તો નુકસાન અવશ્ય જાય છે પણ વાસ્તવિકતા સ્વીકારીને એમાંથી પણ બહાર આવવું પડે છે. નોકરી ગુમાવવી એ કોઈ મોટું નુકસાન નથી. કોઈ બીજી જગ્યાએ મળી જશે, બસ આપણી જે કામ મળે એ કરવાની દાનત હોવી જોઈએ.
ખરું નુકસાન તો ત્યારે થાય છે કે જ્યારે ઉપરની કોઈ બાબત કે અન્ય કોઈ બાબત નુકસાન કરી રહી હોય અને આપણે અન્ય ઉપાયો શોધવાની શરૂઆત જ ન કરી હોય.
કોઈ પણ જગ્યાએ હાર મળવી એ નુકસાન નથી પણ ફરીથી ત્યાંથી ઊભા થઈ ફરી પ્રયત્ન ન કરવો એ મોટુ નુકસાન છે.
શાળાની પ્રથમ પરીક્ષામાં જ ઓછાં ગુણ મળ્યા બાદ પણ પણ જેને મહેનત કરવાની ઈચ્છા નથી થતી નુકસાન એને થાય છે.
ધંધામાં ગયેલ નુકસાનનો શોક કરવાને બદલે ફરીથી કેમ બેઠા થવું એ ન વિચારવું એ મોટુ નુકસાન છે.
જેને સમયની કદર નથી એને ડગલે ને પગલે નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડે. એક વાત નક્કી કે સમય સાચવતા જેને આવડ્યું એણે પોતાના બધાં નુકસાન ફાયદામાં ફેરવી લીધા.
#નુકસાન