આ દરિયે શેનું તોફાન મંડાયું
કિનારા જોને રેલમછેલ...!
===================================
#ઈશ્વરનો પડછાયો#
આ લખું છું તે રોજ મારા વર્ગખંડમાં એક દીકરીને મેં આંસુ સારતા જોઈ. ૧૨ મા ધોરણમાં અભ્યાસ કરતી યુવાન દીકરીનાં ચક્ષુસાગરમાં આવેલી આ આકસ્મિક ભરતીએ મારા હ્રદયમાં તોફાન મચાવી દીધું. હું તેની નજીક ગયો, ને પૂછ્યું -
'કેમ બેટા, શું થયું?' પરંતુ તે કશું બોલી નહિ.વળી આમેય તે મિતભાષી; સ્વભાવને તે વળગી રહી, પરંતુ બાજુમાં બેઠેલી તેની બહેનપણી તેનું ઉલટું પાસુ હતી, ને તેણે કહ્યું કે 'આજે સમાજશાસ્ત્રના સર મારવાનાં છે એટલે રડે છે.'
મેં પૂછ્યું ' કેમ ? એવું તે કંઈ હોય!'
' તેમનાં વિષયમાં ઓછા માર્કસ્ લાવનારને આજે સર મારવાનાં છે ' - આટલું બોલીને તેણે પોતાના ચિંતાગ્રસ્ત મંદ હાસ્યનું મિશ્રણ કર્યું, જ્યારે બાજુમાં બેઠેલી તેની બહેનપણીની આંખોમાં પાણી નહોતું સમાતું.મે તેના માથે હાથ મૂક્યો ને સાંત્વના આપી...'દીકરી તે વળી રડતી હોય? ચાલ, રડવાનું બંધ કર ' એમ કહીને તેના આંસુ લૂછ્યા ને તે માંડ શાંત થઈ.
...પણ શમી ગયેલી ભરતી શિખામણનો સરપાવ આપતી ગઈ.એમ થયું કે એક શિક્ષકે કઠોર થવું પણ ક્રૂર ન થવું.જ્યાં વિદ્યાર્થી આપણી આતુરતાથી રાહ જૂએ એવું શિક્ષકત્વ આપણે ગુમાવી તો નથી ચૂક્યાંને ! સીલેબસની પાછળ દોડતો શિક્ષક વિદ્યાર્થીઓના ગળે "IMP"ના ગાળિયા નાખી માત્ર માર્કસ્ ના માળખામાં જકડી દે છે, અને ત્યારે જાણે અજાણે કેળવણી પ્રત્યે અન્યાય કરી બેસવાનો અપરાધ થાય છે.વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં અને આત્મનિર્ભર બનાવવા માટે પાંગળા સાબિત થઈએ છીએ.મારી આ આત્મસુજને ઢંઢોળનાર અથવા મારું પ્રેરકબળ તે દીકરીનાં અશ્રુ છે.ઓછા ગુણાંક પ્રાપ્ત થાય તે વિદ્યાર્થીની ઓળખ નથી.બલકે ત્યાં તો શિક્ષકની કાબેલિયતની પરીક્ષા છે. વિદ્યાર્થીની નજરમાંથી ઉતરી જવું એના કરતાં એના હ્રદયમાં વસી જવું. પૂર્ણ સારસ્વત શ્રી ગીજુભાઈ બધેકા આનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ હતાં.આ વાતમાં અતિશયોક્તિ લાગે અથવા કોઈકને પ્રેક્ટિકલ ન પણ લાગે છતાં એ તો યાદ રાખવું જ રહ્યું કે શિક્ષકની જવાબદારીને કોઈ સીમા નથી, અને માટે જ શિક્ષક સાધારણ નથી.અંતે એમજ કે -
કર્મનો પ્રસાદ, એવો છે તારા હાથમાં,
જીવન પમરાટ છૂપાયો તારા હાથમાં.
સર્જવાને સુંદર ઉદ્યાન સક્ષમ તું ,
છે ઈશ્વરનો પડછાયો તારા હાથમાં.
###
રાજેન્દ્રકુમાર એન. વાઘેલા
ભરુચ.
સંપર્ક:૮૩૪૭૯૮૯૯૩૦