બિરબલ અને #પ્રકાશ વિજ્ઞાન
રાજા અકબર તેમનાં નવ રત્નો અને અન્ય દરબારીઓ સાથે દરબાર ભરીને બેઠા હતા. અકબરે પ્રશ્ન પૂછ્યો કે એવી કઈ ચીજ છે જે #પ્રકાશની ગેરહાજરીમાં પણ જોઈ શકાય?
દરબારમાં ગણગણાટ શરૂ થઈ ગયો. કોઈ જવાબ ન આપી શક્યું. છેવટે બીરબલે જવાબ આપ્યો, " જહાંપનાહ #પ્રકાશની ગેરહાજરીમાં કોઈપણ ચીજ ના જોઈ શકાય."
ખોટો જવાબ, અકબરે કીધું. તો પછી આપ જ જણાવો જહાંપનાહ, બીરબલે હસતાં હસતાં કહ્યું.
એ દરેક સફેદ ચીજ #પ્રકાશની ગેરહાજરીમાં જોઈ શકાય છે, રાજાએ જવાબ આપ્યો.
બીરબલ ફરીથી હસવા લાગ્યો. રાજાને લાગ્યું કે બિરબલ ભર દરબારમાં મને ખોટો પાડે છે અને મારું અપમાન કરે છે.
તેમણે બીરબલને એક દિવસની મહેતલ આપી કે સાબિત કર કે હું ખોટો છું નહિતર તારું શિર ધડથી અલગ કરી દેવામાં આવશે.
દિવસ આથમી ગયો અને રાત પડી ગઈ. નગરમાં અને રાજમહેલમાં પણ બધા રોશની બુઝાવી સૂઈ ગયા હતા.
બીરબલ ચોરીછૂપે રાજમહેલમાં પ્રવેશે છે. અને અકબર રાજા જ્યાં સૂતા હતા ત્યાં રૂમ પાસે આવે છે.
તેમના રૂમનાં ઉમરોઠ પાસે સફેદ દૂધ ભરેલો કાચનો પ્યાલો મૂકી દે છે. અને દરવાજાની સાંકળ ખખડાવી, મશાલ બુઝાવી બાજુમાં સંતાઈ જાય છે.
આટલી રાતે કોણ આવ્યું હશે તે જોવા રાજા દરવાજો ખોલે છે અને આજુબાજુ ઉપરનીચે જુએ છે પણ કોઈ દેખાતું નથી.
એટલે એ બહાર આવે છે પણ જેવા ઉમરોઠ ઓળંગવા જાય છે કે તરત જ પેલો સફેદ દૂધ ભરેલો કાચનો પ્યાલો તેમનો પગ અડવાથી ઢોળાઇ જાય છે.
અને રાજા બૂમ પાડે છે, કોઈ છે? તરતજ બાજુમાં છુપાયેલો બિરબલ મશાલ સળગાવીને પ્રગટ થાય છે. આટલી રાત્રે બીરબલ તું મારા મહેલની બહાર શું કરે છે?
બસ એજ સાબિત કરવા આવ્યો છું મહારાજ કે #પ્રકાશની ગેરહાજરીમાં સફેદ ચીજ દેખાતી નથી. આ જુઓ હમણાજ આપના પગની ઠેસ વાગવાથી સફેદ દૂધ ઢોળાઇ ગયું.
રાજાએ પણ ભર દરબારમાં કબૂલ્યું કે સફેદ વસ્તુને જોવા માટે #પ્રકાશની હાજરી જરૂરી છે. બીરબલની આ પ્રસિદ્ધિ ચારેકોર ફેલાઈ ગઈ. અકબરને બીરબલ પર ગર્વ થયો કે મારા દરબારમાં દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ છે.
(વિજ્ઞાનમાં જ્યારે પણ પ્રકાશનો પાઠ મારાં વિદ્યાર્થીઓને ભણવતો હોવ ત્યારે આ વાર્તા તેમને અચૂક કહું છું.)
#પ્રકાશ