सपन है संसारा
એક વિશાળ દીવાનખંડમાં બે નાનાં ભાઈબહેન રમતાં હતાં, અને મા રસોઈ કરતી હતી.
થોડીવાર પછી એમની રમતનો અવાજ શાંત થઈ ગયો.
નાનો છોકરો વિચારે ચડી ગયો અને એણે એના વિચારલોકમાં સરસ મજાનો બગીચો રચી દીધો.
બગીચામાં ભાતભાતનાં બેહદ સુંદર અને અદભૂત ફૂલ પણ ખીલી ગયાં.
દરમ્યાન એણે જોયું કે એની નાનીબેન પણ વિચારમગ્ન હતી.
એને થયું એ શું કરતી હશે?
એણે પૂછ્યું: એય, તું શું કરે છે, કેમ બોલતી નથી?
બેને અન્યમનસ્કપણે જવાબ આપ્યો: હું મારી ગાયોને ચરાવવા નીકળી છું. જોને બિચારી કેટલી ભૂખી થઈ છે!
એની બહેને પણ એની ગાયોના ધણની આગવી સ્વપ્નસૃષ્ટિ રચી દીધી હતી, જેવી એના ભાઈએ બગીચાની રચી દીધી હતી !
બંને ભાઈબહેન એમના સ્વપ્નલોકમાં એટલાં ઓતપ્રોત થઈ ગયાં હતાં કે તે એ ભૂલી જ ગયેલાં કે બંને એમના ઘરના બેઠકખંડમાં છે.
થોડીવારમાં તો એના ભાઈએ બૂમ મારી. દીદી, તારી ગાયોને દૂર રાખ, મારા બગીચામાં ભેલાણ કરે છે.
દીદીએ પણ કહ્યું: ભૈયા, એને થોડું ખાવા દે, બિચારી કેટલી ભૂખી છે!
પણ સપનાના બાગને થતું નુકશાન ભાઈથી સહન ન થયું અને ભૂખી ગાયોની વેદના બેનથી સહન ન થઈ.
બંને હવે ઝઘડવા લાગ્યાં. ઝગડો સાંભળી રસોડામાંથી મા આવી અને કહ્યું ' કેમ લડો છો'?
બંને જણાએ પોતપોતાની ફરિયાદ કહી સંભળાવી.
માએ હસીને કહ્યું: બેટા, ચલો હવે આપણે ભગવાનની આરતી કરવાની છે. બેટા તું તારા બગીચામાંથી થોડાં ફૂલ લાવ અને મારી દીકરી, તું તારી ગાયો પાસેથી થોડુંક દૂધ લાવ, આપણે કિસન-ગોપાલને ધરાવીએ.
પરંતુ સપનાના બગીચામાંથી ન આવ્યું એકપણ ફૂલ કે ન આવ્યું ચરણામૃત જેટલુંય પણ દૂધ !
માએ બંનેને એમની દીવાસ્વપ્નની સૃષ્ટિથી "જગાડ્યા" કે તરત ઝગડો શાંત થઈ ગયો.
બસ, આ સંસાર પણ આવો જ છે.
એને ગમે તેટલો "સજાવો" તે આ બંને ભાઈબહેનના સપનાની દુનિયા જેવો છે.
સાચો લાગે છે એટલે હરખ અને શોક આપે છે.
જે એમાંથી "જાગી" ગયા તે એનું સુખ જોઈ નથી છકી જતા કે એનું દુઃખ જોઈ નથી વિચલિત થતા.
તેઓ તો ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું તેમ સ્થિતપ્રજ્ઞ થઈને રહે છે.
તેવી દશા આવતાં નથી રહેતું સુખ કે નથી રહેતું દુઃખ.
બસ અસ્તિત્વનો નિર્ભેળ આનંદ વહ્યા કરે છે.
અને એજ શાશ્વત આનંદ છે.
આ આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે.
બળદેવના જય ગુરુ મહારાજ !